– દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને બે લાખે પહોંચી 24 કલાકમાં કોરોનાથી વધુ 206 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 5.12 લાખને પાર પહોંચ્યો
નવી દિલ્હી : ભારતમાં હવે 12થી 18 વર્ષની વયનાને પણ કોરોના વિરોધી રસી આપવામાં આવશે.ડીસીજીઆઇએ કોર્બેવેક્સ નામની રસીને મંજૂરી આપી દીધી છે.જેનો ઉપયોગ 12થી 18 વર્ષની વયના માટે કરાશે. બાયોલોજિકલ ઇની કોવિડ-19 રસી કોર્બેવેક્સના ઉપયોગને આખરે અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે.
બાયોલોજિકલ ઇએ આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે કોવિડ-19 સામે ભારતની પહેલી સ્વદેશી રૂપથી વિકસિત રિસેપ્ટર બાઇંડિંગ ડોમેન (આરબીડી) પ્રોટીન સબ-યૂનિટ વેક્સીન કોર્બેવેક્સને 12થી 18 વર્ષની વયના માટે મંજૂરી આપી દેવાઇ છે.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના નવા 16 હજારથી વધુ કેસો સામે આવ્યા છે.જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને બે લાખ સુધી પહોંચી ગઇ છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 206 લોકોના મોત નિપજતા કુલ મૃત્યુઆંક 512109એ પહોંચ્યો હતો.
છેલ્લા 15 દિવસથી કોરોના વાઇરસના દૈનિક કેસો એક લાખથી નીચે રહ્યા છે.જ્યારે એક્ટિવ કેસોમાં છેલ્લા 24 કલાકમાં 22 હજારનો ઘટાડો થયો છે અને સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઇ છે જે એક સમયે 20 લાખથી પણ વધુ હતી.