ગુજરાતમાં કોરોના વાયરસને લઇને સરકાર દ્વારા કોરોનાગ્રસ્ત શહેરોમાં લોકડાઉન જાહેર કરાયું છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો આંક 29 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં તો 144ની કલમનો ભંગ કરીને કોઈ કામ વગર ઘરની બહાર નીકળનારા 40 લોકોની સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ માહિતી આપી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. લોકોને મારી અપીલ છે કે, અમદાવાદમાં કોઈ પણ સ્થળ પર ચારથી વધારે લોકો એકઠાં ન થાય. જો ચાર કરતા વધારે લોકો ભેગા થશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાલે જનતા કર્ફ્યુ હતું છતાં પણ કેટલાક લોકો ગેરસમજના કારણે અને ઉત્સાહમાં બહાર નીકળ્યા હતા. તો ખાડીયાની અંદરની ઘટનામાં ખાડીયા પોલીસ સ્ટેશનમાં 40 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ લોકોની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.લોકોને ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નીકળે. અત્યારે 25 તારીખ સુધી લોકડાઉન છે. ટ્રાન્સપોર્ટ વિભાગના જાહેરનામા અનુસાર, કોમર્શિયલ વ્હીકલ રસ્તા પર નીકળી શકશે નહીં. જે વાહનો રસ્તા પર નીકળશે તેને જપ્ત પણ કરવામાં આવશે. લોકો પ્રાઈવેટ વાહનમાં દવાખાને કે જીવનજરૂરી વસ્તુઓની ખરીદી માટે જઈ શકે છે. જે કોમર્શિયલ વાહનો રસ્તા પર આવશે તેને જપ્ત કરવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.