રાજયમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૩૨-ક ના અસરકારક અમલ માટે રાજયની જમીનો,સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવોમાં તા.૧૫.૦૪.૨૦૨૩ થી વધારો અમલમાં આવ્યો છે.જેથી તા.૧૫.૦૪.૨૦૨૩ કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.
તદનુસાર તા.૧૫.૦૪.૨૦૨૩ કે તે પછી નોંધણી માટે રજૂ થતો દસ્તાવેજ તા.૧૫.૦૪.૨૦૨૩ પહેલાં કરી આપેલ હશે એટલે કે દસ્તાવેજમાં તા.૧૫.૦૪.૨૦૨૩ પહેલાં (તા.૧૪.૦૪.૨૦૨૩ સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે.તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજુ થશે તો તેવા દસ્તાવેજમાં તા.૧૫.૦૪.૨૦૨૩થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં.પરંતુ તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજારકીંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.
ઉપર મુજબ તા.૧૫.૦૪.૨૦૨૩ પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.૧૫.૦૪.૨૦૨૩થી ચાર માસ એટલે કે તા.૧૪.૦૮.૨૦૨૩ સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે.જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે,તો જેના દસ્તાવેજમાં તા.૧૫.૦૪.૨૦૨૩ પહેલાં મત્તુ થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.૧૪.૦૮.૨૦૨૩ સુધી નોંધણી કરાવી લેવા જાહેર જનતાને જણાવવામાં આવે છે.જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોઈ અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો,સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવાની રહેશે.જેની પણ જાહેર જનતાએ ખાસ નોંધ લેવા સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની યાદીમાં જણાવાયું છે.