અમદાવાદ : ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે.બીજી બાજુ ભાજપની રૂપાણી સરકારના 15 પૂર્વ મંત્રીઓને રૂ.4800 જેટલા નજીવા ભાડે સરકારી બંગલા ફાળવી દેવામાં આવ્યાં છે.પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસે આ મંત્રીઓ પાસેથી બંગલા પરત લેવાની માંગ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,રાજ્યમાં ભાજપના પૂર્વ મંત્રીઓ(૧)નીતિનભાઈ પટેલ(૨)ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા,(૩)સૌરભભાઈ પટેલ(૪) ગણપતસિંહ વસાવા(૫)જયેશભાઈ રાદડિયા(૬)ઈશ્વરભાઈ પરમાર(૭)પ્રદીપસિંહ જાડેજા(૮)પરસોત્તમભાઈ સોલંકી(૯)જયદ્રથસિંહ પરમાર(૧૦)ઈશ્વરસિંહ પટેલ(૧૧)વાસણભાઈ આહીર(૧૨)વિભાવરીબેન દવે(૧૩) રમણલાલ પાટકર (૧૪)ધર્મેન્દ્રસિંહ જાડેજા (૧૫) કુંવરજીભાઈ બાવળિયા વગેરેને ગાંધીનગરમાં સરકારી આવાસો પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને માર્ગ અને મકાન વિભાગની પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓક્ટોબર-૨૦૨૧માં ફાળવાયા હતા.આ બંગલાનું બજાર ભાડુ રૂ.૪૨,૦૦૦ નક્કી થયું હોવા છતાં જુદાં-જુદાં-હુકમોથી ઈકોનોમી રેટ તરીકે મામૂલી રૂ.૪૮૦૦ના ભાડાથી પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી ફાળવવામાં આવ્યા છે.
રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે,સંતાનોના અભ્યાસ બગડે નહીં,અધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પૂર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે, વાસ્તવમાં એકેય પૂર્વ મંત્રીના સંતાનો ગાંધીનગરની શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી.ત્યારે પ્રશ્ન એ છે કે અત્યારે તો આ ભાજપના પૂર્વ મંત્રીઓએ સંતાનોના અભ્યાસના બહાને સરકારી બંગલાઓ મેળવ્યા છે તે કયા પૂર્વ મંત્રીઓના કેટલા સંતાનો કઈ સરકારી શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો છે તે પણ જાહેર કરીને રાજ્યના સામાન્ય નાગરિકોને સરકારી શાળાઓમાં ભણતર માટે આકર્ષવા જોઈએ.
બીજી બાજુ રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે,મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી.સરકારી આવાસ ન મળવાના કારણે ફિક્સ પગારના કર્મચારી પગાર જેટલું તો ભાડું ભરવા મજબુર બને છે.ગરિબોને રહેવા માટે પુરતા આવાસો બનાવવામાં આવતા નથી.ત્યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તુરંત આવાસ મળે તેવી વ્યવસ્થા અને ચિંતા કરવી જોઈએ.પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાંનો વ્યય તાત્કાલિક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે.મંત્રી કક્ષાની સિક્યુરિટી ચાલુ રાખવામાં આવી છે તે પણ નિયમ મુજબ પરત લેવાય તેવી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી,ગુજરાતના મુખ્ય સચિવ અને માર્ગ અને મકાન સચિવને ડો.મનીષ દોશીએ પત્ર લખીને માંગ કરી છે.


