– ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આપી માહિતી : પોલીસ તંત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારાશે
ગાંધીનગર : ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ,પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે.છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં 49,000થી વધુ પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવી છે.અને આગામી વર્ષે વધુ 13,000 કર્મીઓની ભરતી કરાશે.પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે,તેવું ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ,બોર્ડર સિક્યુરીટી,સિવીલ ડિફેન્સ,ગ્રામ રક્ષક દળ,જેલ,નશાબંધી આબકારી,બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી પરામર્શ સમિતિની બેઠકમાં મંત્રી જાડેજાએ તમામ ધારાસભ્યઓના કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે કરાયેલા સૂચનોને આવકાર્યા હતા.પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પોલીસ તંત્ર અને ગૃહ વિભાગ એક ટીમ તરીકે કામ કરી રહી છે ત્યારે મેનપાવર,સ્કીલ અપગ્રેડેશન,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
જાડેજાએ વધુમાં કહયું હતુ કે રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે.તેમાં 24 કલાક તપાસ માટે માર્ગદર્શન મળી રહે તેવું આયોજન થઇ રહ્યું છે.નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે.આ પ્રોજેક્ટ હેઠળ ઇન્વેસ્ટીગેશન માટે અલાયદો રૂમ,કોલ સેન્ટર,ડ્રાફ્ટીંગ માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંકલનમાં રહી પોલીસ કર્મચારીઓને તાલીમની સુવિધા તથાની સેવાઓને વધુ સંગીન રીતે લાભ લેવાશે.
આ બેઠકમાં ધારાસભ્યઓ દ્વારા પોલીસ આવાસ,મહેકમ,નવા પોલીસ સ્ટેશનો,વાહનો,નાર્કોટીક્સના કાયદાની વધુ તીવ્રતાથી અમલવારી વ્યાજખોરોથી ગરીબ પરિવારોને બચાવવા અસામજિક તત્વોની હેરાનગતિ સંદર્ભે પોલીસની કામગીરીની વધુ સઘન બનાવવા માટે સૂચનો કરવામાં આવ્યા હતા.આ પરામર્શ બેઠકમાં પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા સહિત ગૃહ વિભાગના અને એન.આર.જી. વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિગતો પૂરી પાડી હતી.


