– ભાટિયા-કામરેજ ટોલનાકે કેશલેન બંધના નિર્ણય મુદ્દે સ્થાનિકો લડી લેવાના મુડમાં
– અગાઉ પણ સ્થાનિકોના વિરોધના પગલે કામરેજ નાકા પર ટોલ લેવાનું બંધ કરવું પડ્યું હતું
સુરત : 1 જાન્યુઆરીથી દેશના તમામ ટોલનાકા પર કેશલેન બંધ કરી ફક્ત ફાસ્ટેગ લેન શરૂ રાખવાના નિર્ણયને લીધે સુરત જિલ્લાના વાહનમાલિકોએ હવે ફરજીયાત ફાસ્ટેગ લગાવીને જ પલસાણાના ભાટિયા ટોલનાકા અને કામરેજ ટોલનાકા પરથી પસાર થવું પડશે.જેને કારણે ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિક વાહનચાલકો અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના પુરેપુરા એંધાણ છે.અત્યાર સુધી ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો પાસે પણ ટોલ વસૂલવામાં આવતો હતો.જ્યારે કામરેજ ટોલનાકા પર સ્થાનિકોના વિરોધને લીધે ટોલ લેવાનું લાંબા સમયથી બંધ કરી દેવાયું હતું. 1 તારીખથી કેશલેન બંધ કરી દેવામાં આવશે તો સ્થાનિકોના વિફરવાની પુરી શક્યતા છે.આગામી દિવસોમાં ના-કર સમિતિ પણ લોકડાઉનને લીધે અટકી પડેલા આંદોલનને ફરી શરૂ કરવાના મૂડમાં જણાય રહી છે.
અગાઉના આંદોલનને સામાજિક સંસ્થાઓનું સમર્થન મળતા રાજકીય નેતાગીરી ભીંસમાં મુકાઇ હતી
—————————————————————————–
ભાટિયા ટોલનાકા પર સ્થાનિકો પાસે વસૂલવામાં આવતા ટોલ મુદ્દે લોકડાઉન પહેલા દર્શન નાયકની આગેવાનીમાં બનેલી ના-કર સમિતિએ આંદોલન શરૂ કરી સ્થાનિકોને ટોલ મુક્તિ મળે એવી માંગ કરી હતી. આંદોલનને અનેક ગ્રામપંચાયતો અને સહકારી તેમજ સામાજિક સંસ્થાઓનું સમર્થન મળતા રાજકીય નેતાગીરી પણ ભીંસમાં મુકાય ગઈ હતી.હવે જ્યારે 1 જાન્યુઆરીથી ફાસ્ટેગનો અમલ આખા દેશમાં લાગુ થવાનો છે ત્યારે ભાટિયા અને કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ મુક્તિ અપાવવા ના-કર સમિતિ મેદાને પડશે એવી પુરી શક્યતાઓ છે.ના-કર સમિતિએ જણાવ્યું હતું કે અમે 2 દિવસમાં રણનીતિ નક્કી કરી લેશુ કે આગળ શુ કરવું.
ભાટિયા ટોલનાકુ ભૌગોલિક દૃષ્ટિએ સુરત માટે ખોટી જગ્યાએ
—————————————————————————–
અગાઉ આંદોલનમાં મુદ્દો ગાજતો હતો કે ભાટિયા ટોળનાકુ નેશનલ હાઇવે પર નથી પણ સ્ટેટ હાઇવે પર છે.લોકોની જમીનો હાઇવેમાં ગઈ છે અને આજે એ લોકો પણ ટોલ આપવા મજબૂર બન્યા છે.પહેલા રૂ.20 એક તરફના ચૂકવાતા હતા. ફાસ્ટેગના અમલને લીધે 275 રૂપિયાનો પાસ બનાવવો પડશે.ગત વર્ષે ભાટિયા ટોળનાકુ ગેરકાયદે,બિનજરૂરી હોવાનો તર્ક ઉઠ્યો હતો.
ભાટિયા ટોલનાકા પરથી રોજ 15 હજાર સુરતીઓ પસાર થાય છે
——————————————————————————
સુરત અને આસપાસના વાહનચાલકો મળી અંદાજે 15000 લોકો રોજ ભાટિયા ટોલનાકુ પસાર કરે છે હવે એ તમામ લોકોએ ફાસ્ટેગ પાસ અથવા ફાસ્ટેગ મુજબ રૂપિયા કપાવવા પડશે.ભાટિયા ટોલપ્લાઝાના મેનેજર રાજશેખર તિવારીએ કહ્યું હતું કે સ્થાનિકો માટે મંથલી પાસની વ્યવસ્થા છે આનાથી વધુ અને કશું ન કરી શકીએ.
નોટિફિકેશન મળ્યું છે, રજૂઆત આવી નથી
——————————————————————————
1 જાન્યુઆરીથી દેશની જેમ જ ભાટિયા-કામરેજ ટોલનાકુ પણ ફક્ત ફાસ્ટેગ વાહનોને જ પ્રવેશ આપશે.જેનું નોટિફિકેશન મળ્યું પણ ટોલ મુદ્દે સમસ્યા હોવાની કોઈ ફરિયાદ મળી નથી. – ધવલ પટેલ,કલેક્ટર,સુરત