અમદાવાદ,તા.04 મે 2023,ગુરૂવાર : હાઈકોર્ટે ડોન લતીફ અને તેના સાથી રઉફ કાદર શેખને સાક્ષીઓ અને પુરાવાના અભાવે શહેરના દરિયાપુર વિસ્તારમાં લગભગ 28 વર્ષ પહેલા થયેલી ત્રણ અલગ-અલગ હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.જે સાક્ષીઓએ કોર્ટ સમક્ષ 164ના નિવેદનો નોંધ્યા હતા તેઓ પણ પાછળથી પ્રતિકૂળ બન્યા હતા,જેના કારણે સેશન્સ કોર્ટમાં આ કેસમાં બંનેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.પોલીસ બાતમીદાર મોહમ્મદ હનીફ ઉર્ફે મજદીની વર્ષ 1995માં દરિયાપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ દિવસે આ ઘટના સાથે જોડાયેલા વધુ બે લોકોના પણ મોત થયા હતા.આ કેસમાં સેશન્સ કોર્ટે કુખ્યાત ડોન લતીફ અને તેના સાથી રઉફ કાદર શેખને સાક્ષીઓ અને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
પોલીસે આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી,પરંતુ હાઈકોર્ટે પણ પુરાવાના અભાવે બંનેને નિર્દોષ છોડી મૂક્યા હતા. ર્ટે કહ્યું હતું કે તેમની પાસેથી મળેલી રિવોલ્વરથી એ સાબિત થતું નથી કે તેઓએ હત્યા કરી છે.આ કેસમાં કોર્ટમાં 17 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા,પરંતુ 164 હેઠળ સાક્ષીઓ પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનથી વિરુદ્ધ થઈ ગયા હતા.હાઈકોર્ટે કહ્યું કે ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં એક જ પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા,જે શક્ય નથી,સાથે જ ઘટના સમયે લતીફ અને રઉફની હાજરીના કોઈ પુરાવા નથી.ઉલ્લેખનીય છે કે લતીફનું પોલીસ એન્કાઉન્ટર વર્ષ 1997માં થયું હતું.અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં તેની દહેશત હતી. તે ગેરકાયદેસર દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો.તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5 બેઠકો પરથી ચૂંટણી લડ્યો અને જીત્યો હતો.