3 વર્ષ બાદ નગરના નાથ ધામધૂમથી આજે નગરચર્યાએ નીકળશે

HM News
3 Min Read

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી સાથે નગરચર્યાએ નીકળવાના હોવાથી શહેરીજનોમાં ભગવાનના દર્શન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહી છે.બે વર્ષ સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.બે વર્ષ બાદ રથયાત્રાનું પૂર્ણ સ્વરૂપમાં આયોજન થતું હોવાથી સાધુ સંતો ઉપરાંત નગરજનો અને બહારથી ખાસ રથયાત્રા નિહાળવા આવતા લોકોમાં રથયાત્રા માણવાનો ભારે રસ જોવા મળી રહ્યો છે.ખૂબ જ મોટી સંખ્યામાં જુદી જુદી થીમ ઉપર શણગારેલા ટ્રકમાં મગ અને જાંબુ ઉપરાંત ચોકલેટ અને જુદી જુદી વસ્તુઓ ચડાવી દેવામાં આવી છે.

સંખ્યાબંધ ભજન મંડળીમાં ભાગ લેનાર ભજનીકોએ પણ લાંબા સમયથી ભજન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને રથયાત્રામાં પોતાનો શણગાર સૌથી જુદો તરી આવે તેના માટે તેઓ જાત જાતના ટેટુ અને બોડી પેઈન્ટ કરાવવા કામે લાગી ગયા છે.કરતાલ અને મંજીરા સાથે તેઓ વહેલી સવારે મંદિરે પહોંચી જશે.

રથયાત્રામાં ગજરાજ અને અખાડાના જુદા જુદા કરતબોનું ખાસ્સું આકર્ષણ હોય છે.જેને લઈને મંદિરના તમામ ગજરાજને રંગોથી શણગારી દેવામાં આવ્યા છે અને વહેલી સવારે તેઓ પ્રયાણ કરી શકે તેના માટે તેમને આખો દિવસ આરામ કરાવવામાં આવ્યો હતો.એકાદ મહિનાથી પોતાના કરતબ બતાવવા માટે અખાડિયનો મહેનત કરી રહ્યા છે તેઓ જાત જાતના કરતબ કરીને લોકોનું મન મોહી લેશે.કેન્દ્રીય ગૃહ મંત્રી તેમજ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી અને મંત્રીઓ રથયાત્રા પ્રારંભ સમયે ભગવાનની આરતી અને પહિંદ વિધિમાં ખાસ ઉપસ્થિત રહેશે જેના માટેની પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીના રથની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી આઇપીએસ અધિકારીઓને સોંપી દેવામાં આવી છે.આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ મુવિંગ બંદોબસ્તમાં રહેશે.

રથયાત્રા જે રૂટ પરથી પસાર થશે તે વિસ્તારના અગ્રણીઓ રથયાત્રાનું સ્વાગત કરવા માટે તૈયાર થઈ ગયા છે.આ ઉપરાંત પ્રેમ દરવાજાથી જ્યારે રથ પસાર થશે ત્યારે મુસ્લિમ અગ્રણીઓ દ્વારા મંદિરના મહંત અને ભગવાનના રથનું સ્વાગત કરાશે અને શાંતિના દૂત સમાન કબૂતરને ઉડાડીને શાંતિનો સંદેશ આપવામાં આવશે.સમગ્ર સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી છાવણીની માફક પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમો ગોઠવાઈ ગઈ છે.દરેક ધાબા ઉપર સુરક્ષા માટે પોલીસ ગોઠવાઈ ગઈ છે.તેમજ તમામ પોળમાં છેલ્લા ઘર સુધી પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે પોઇન્ટ ગોઠવી દીધા છે‌.રથ મંદિરથી સમયસર પ્રયાણ કરે અને સરસપુર મામાના ઘરે જઈને નગરચર્યા કરતા સમયસર નિજ મંદિરે પરત પહોંચી જાય તેના માટેની ખાસ સ્કીમ પોલીસ અને તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *