30 વર્ષ પહેલા પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ હવે રદ્દ થશે!

HM News
3 Min Read

– જામખંભાળિયાના કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટને કોર્ટે ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી,જેલમાં બંધ ભટ્ટ પર રાજસ્થાનના વકીલને ડ્રગ્સ કેસમાં ખોટી રીતે ફસાવવાનો પણ આરોપ.કસ્ટોડિયલ ટોર્ચરના ફરિયાદી મહેશ ચિત્રોડાને હાઈકોર્ટે વકીલ મારફતે સોગંદનામું દાખલ કરવા માટે જણાવ્યું, સંજીવ ભટ્ટ સહિત બીજા પણ પોલીસ અધિકારીઓ સામે નોંધાઈ હતી ફરિયાદ.હાલ પાલનપુર જેલમાં બંધ છે સંજીવ ભટ્ટ.

અમદાવાદ : ભૂતપૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે 30 વર્ષ પહેલા નોંધાયેલી કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદને રદ કરવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ છે.ખુદ ફરિયાદીએ જ સંજીવ ભટ્ટ સહિતના કેટલાક પોલીસકર્મીઓ વિરુદ્ધ આ ફરિયાદ રદ્ કરવા રજૂઆત કરી છે.જામનગરના આ મામલામાં ઓક્ટોબર 1990માં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ નિખિલ ખરિએલે ફરિયાદી મહેશ ચિત્રોડાને તેમના વકીલ મારફતે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.આ કેસની વધુ સુનાવણી 31 માર્ચના રોજ હાથ ધરાશે.

કોર્ટે જણાવ્યું હતું કે, ફરિયાદ પાછી ખેંચવા અંગે રેકોર્ડ પર કેટલીક બાબતો લાવવી જરુરી છે.કારણકે, આ કેસમાં કોર્ટનો ખૂબ જ સમય ખર્ચાયો છે.કેસમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા છે ત્યારે ફરિયાદી એફિડેવિટ ફાઈલ કરે ત્યારબાદ વધુ સુનાવણી કરવામાં આવશે. 30 ઓક્ટોબર 1990ના રોજ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પ્રભુદાસ વૈશ્નાની નામના એક શખ્સનું પોલીસે ઢોર માર માર્યો હોવાની મોત થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસ ટોર્ચરનો ભોગ બનેલા મહેશ ચિત્રોડા ઉપરાંત ચેતન જાની અને રાવજીભાઈ હરજીભાઈ દ્વારા ફરિયાદો કરવામાં આવી હતી.

કસ્ટોડિયલ ટોર્ચરની ઘટના બની ત્યારે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લાના ASP હતા.ઘટનાની વિગત એવી છે કે, રાયોટિંગની ફરિયાદના આધારે પોલીસે 133 લોકોને રાઉન્ડ અપ કર્યા હતા.જેમાં મૃતક પ્રભુદાસ વૈશ્નાની સહિત ત્રણ ફરિયાદીઓનો પણ સમાવેશ થતો હતો.રાવજીભાઈ અને ચેતન જાની દ્વારા પ્રાઈવેટ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના અનુસંધાને સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓને 1992માં સમન્સ મોકલવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારે આરોપો પડતા મૂકવા માટે કોર્ટમાં અરજી કરી હતી,જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.જોકે, સમન્સનો આદેશ રેકોર્ડ પર હતો અને તેના કારણે આ કેસમાં ઉપરાછાપરી લિટિગેશન્સ કરવામાં આવી હતી. 1996માં આરોપી પોલીસ અધિકારી પ્રવીણ ઝાલા દ્વારા સમન્સ અને ફરિયાદને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 1999માં સંજીવ ભટ્ટ પણ આ જ માગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા હતા.

હાઈકોર્ટે અગાઉ રાવજીભાઈ અને ચેતન જાની દ્વારા કરવામાં દાખલ કરવામાં આવેલી ફરિયાદોને રદ કરવા માટે આદેશ કર્યો હતો,જ્યારે ચિત્રોડાની ફરિયાદ રદ કરવા અંગે કોર્ટમાં દલીલો છેલ્લા કેટલાક સમયથી ચાલુ હતી.ભટ્ટના વકીલ સોમનાથ વત્સ અને સરકારી વકીલ આ મામલે દલીલો કરી રહ્યા હતા.તેવામાં એડવોકેટ વી.એચ. પટેલે કોર્ટને ફરિયાદીના નીચલી કોર્ટમાંથી ફરિયાદ પાછી ખેંચી લેવાના નિર્ણય અંગે જાણ કરી હતી.જેના પર સરકારી વકીલે ફરિયાદીના આ નિર્ણય સામે સરકારને કોઈ વાંધો ના હોવાનું જણાવ્યું હતું.કસ્ટોડિયલ ડેથના કેસમાં આજીવન કેદની સજા સંભળાવાયા ઉપરાંત સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના એક વકીલને પાલનપુર બોલાવી ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાનો પણ આરોપ છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *