ઉત્તરપ્રદેશ,તા.10 ઓગસ્ટ 2021,મંગળવાર : યુપીની આગામી ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પાર્ટી 100 બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી દીધી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના મુસ્લિમ મંત્રી મૌલાના સિદ્દીક ઉલ્લાહ ચૌધરીએ સોમવારે યુપીના દેવબંદની મુલાકાત લીધી હતી.ચૌધરીની મુલાકાત બાદ રાજકીય સમીકરણોની નવેસરથી ગણતરી થઈ રહી છે.મૌલાના ચૌધરીને યુપીમાં ઓવૈસીનો પ્રભાવ ઓછો કરવા માટે મોકલવામાં આવ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે.
પશ્ચિમ બંગાળ સરકારમાં મૌલાના ચૌધરી મુસ્લિમ ચહેરો માનવામાં આવે છે.દેવબંદના એક ટોચના ધર્મગુરૂના નિધન પર શોક વ્યક્ત કરવા માટે પહોંચેલા મૌલાના ચૌધરીએ ઓવૈસી પર નિશાન સાધ્યુ હતુ.એવુ જાણવા મળ્યુ છે કે, મૌલાના ચૌધરીએ કહ્યુ હતુ કે, મમતા બેનરજીની આગેવાનીમાં હિન્દુઓ અને મુસ્લિમોએ એક સાથે મળીને ભાજપનો સફાયો કરી દીધો હતો.બંગાળમાં 97 ટકા મુસ્લિમોએ દેશ બચાવવા માટે ટીએમસીને મત આપ્યો હતો.હવે યુપીની જનતાએ પણ એક થઈને ભાજપનો સફાયો કરવાની જરૂર છે.મૌલાના ચૌધરીના નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે બંગાળની જેમ જ મુસ્લિમો યુપીમાં વોટિંગ કરે તેવુ મમતા બેનરજી ઈચ્છી રહ્યા છે.મૌલાના ચૌધરીએ તો એમ પણ કહ્યુ હતુ કે, ઓવૈસી દરેક રાજ્યની ચૂંટણીમાં કુદીને મુસ્લિમ મતોને વહેંચવાનુ કામ કરી રહ્યા છે અને તેનાથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે.બંગાળની જનતાએ ઓવૈસીને નકારી કાઢ્યા છે.તેમના નિવેદનોથી મુસ્લિમોને કોઈ ફાયદો થયો નથી.તેમણે તો ઉલેમાઓને પણ રાજકારણમાં આવવા માટે આમંત્રણ આપતા કહ્યુ હતુ કે, ઉલેમાઓએ પોતાના અધિકાર મેળવવા માટે રાજકારણમાં ઝુકાવવુ જોઈએ.યુપીમાં ભાજપને હરાવવા તમામ રાજકીય પાર્ટીઓએ સાથે આવવુ જોઈએ.બંગાળની જનતાએ ટીએમસીને જીતાડીને સિગ્નલ આપ્યો છે કે, ભાજપ અપરાજિત નથી.