રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું છે કે, ભારત સરકારે નક્કી કરેલી રૂ.6 લાખની મર્યાદામાં શિષ્યવૃત્તિ આપવા ઉપરાંત હવે જે અભ્યાસક્રમોમાં ફી રૂ. 6 લાખ કરતાં વધારે હોય તેવા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓના કિસ્સાઓમાં વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.વર્ષ 2010થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને વાલીની આવકમર્યાદાને ધ્યાને લઇ રૂ.2.50 લાખની શિષ્યવૃત્તિની રકમની કોઈ ટોચ મર્યાદા (સિલીંગ લિમીટ) ધ્યાને લીધા સિવાય ફીની રકમ શિષ્યવૃત્તિ તરીકે ચુકવવામાં આવતી હતી.
કેન્દ્ર સરકારની તા.01/04/2022થી અમલીકૃત ગાઇડલાઈનથી માન્યતા પ્રાપ્ત ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે MBBS/MS/MDના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.6 લાખ તથા એન્જિનિયરીંગના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.2.50 લાખ તેમજ અન્ય અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂ.1 લાખની રકમની ટોચ મર્યાદામાં (સિલીંગ લિમીટ) શિષ્યવૃત્તિની ચૂકવણી કરવાની જોગવાઈ દાખલ કરેલ છે.કેન્દ્ર સરકારની ઉપરોક્ત નવીન ગાઈડલાઈનમાં સૂચવેલ ટોચ મર્યાદા(સિલીંગ લિમીટ)થી વધુ રકમની શિષ્યવૃત્તિની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.