– ત્રણ મહિનાના મોરેટોરિયમને કારણે ટૂંકા ગાળામાં NBFCની લિક્વિડિટી સાવ ખતમ થઈ જશે
– એનબીએફસીની સોલ્વન્સી નબળી થશે તો બેન્કો માટે પણ જોખમ ઊભું થશે કારણ કે બેન્કોનું NBFCમાં સીધું મોટું એક્સપોઝર છે
મુંબઈ : ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડી’ઝે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે જે ડિસરપ્શન ઊભું થયું છે તેને કારણે નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ (NBFC)ની લિક્વિડિટીની સમસ્યા વધુ વકરશે અને તેમની સ્થિતિ વધારે ખરાબ થશે.મૂડી’ઝે તેના રિપોર્ટમાં કહ્યું છે કે એનબીએફસી કંપનીઓની સોલ્વન્સી નબળી થશે તો તેને કારણે બેન્કો માટે પણ જોખમ ઊભું થશે કારણ કે બેન્કોનું NBFCમાં સીધું મોટું એક્સપોઝર છે.
NBFC સેક્ટર ખાસ્સા સમયથી લિક્વિડિટીની સમસ્યાથી ત્રસ્ત છે કારણ કે સપ્ટેમ્બર 2018માં IL&FS ગ્રુપ ડિફોલ્ટ થયા પછીથી રોકાણકારો આ સેક્ટરથી દૂર થઈ રહ્યા છે અને તેમાં રોકાણનું જોખમ ઉઠાવવા તૈયાર નથી.તેણે કહ્યું હતું કે એનબીએફસીની એસેટ ક્વોલિટીમાં સારું એવું ધોવાણ થઈ જશે કારણ કે દેશની આર્થિક પ્રવૃત્તિ અગાઉથી જ ધીમી હતી અને તેમાં કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે તે સાવ ઠપ થઈ ગઈ હતી.બેન્કો કરતાં પણ એનબીએફસીની એસેટ ક્વોલિટી વધારે ખરાબ થશે કારણ કે એનબીએફસીનું ફોકસ વધારે જોખમી સેગમેન્ટમાં છે.
રિઝર્વ બેન્કે લોન રિપેમેન્ટમાં ત્રણ મહિનાનું મોરેટોરિયમ આપ્યું છે તેને કારણે ટૂંકા ગાળામાં NBFCની લિક્વિડિટી સાવ ખતમ થઈ જશે.મોટાભાગની NBFCની બેલેન્સ શીટમાં લિક્વિડિટી જોવા નથી મળતી કારણ કે ગ્રાહકો પાસેથી જે લોન રિપેમેન્ટ સ્વરૂપે કેશફ્લો આવે તે અને તેમની પોતાની લાયેબિલિટી પૂરી કરવા માટે જે કેશ આઉટફ્લો થાય તે સરભર કરીને જે બાકી રકમ રહે તેનાથી જ તેઓ લિક્વિડિટી મેનેજ કરતી હોય છે.મોરેટોરિયમથી કેશ ઈનફ્લો ઘટશે.જેટલા વધુ ગ્રાહકો મોરેટોરિયમનો લાભ લેશે તેટલી આ કંપનીઓ માટે મુશ્કેલી વધશે.મોરેટોરિયમનો સમયગાળો પૂરો થાય પછી પણ આર્થિક પ્રવૃત્તિઓ પર જેટલા વધુ નિયંત્રણો રહેશે તેટલું લોન રિપેમેન્ટ રાબેતા મુજબ થતા વાર લાગશે.મૂડીઝના મતે લોન રિપેમેન્ટ મોરેટોરિયમના ગાળામાં 50 ટકા સુધી ઘટી જશે તેવી ધારણા છે.
NBFC માટે ગયા વર્ષે વધારાના ફંડિંગનો મુખ્ય સ્રોત સિક્યુરિટાઈઝેશન હતો,પરંતુ લોન મોરેટોરિયમને કારણે સિક્યુરિટાઈઝ્ડ લોનમાંથી પણ કલેક્શન ઘટશે જેને કારણે આ સ્રોત પણ હવે કામ નહીં લાગે.NBFCની સોલ્વન્સી નબળી પડશે તેટલું બેન્કો માટે પણ જોખમ વધી જશે.યસ બેન્ક ડિફોલ્ટ થવાથી બેન્કોને ઝટકો લાગી જ ગયો છે.તેને કારણે કેટલીક નાની બેન્કોમાંથી લોકોએ ધડાધડ તેમની ડિપોઝીટ ઉપાડવા માંડી હતી.બેન્કોનું અને ખાસ કરીને સરકારી બેન્કોનું એનબીએફસીમાં ખાસ્સું એક્સપોઝર છે.તાજેતરમાં એનબીએફસીનું ડેટ સીધું જ ખરીદવા માટે સરકારે અસરકારક પગલાં લીદા છે,તેમ છતાં NBFCની સ્ટ્રક્ચરલ ફંડિંગની જે સમસ્યા છે તેનો ઉકેલ નહીં આવે.


