સુરત, 1 જુલાઈ : હિન્દૂ ધર્મમાં એકાદશીનું અતિ મહત્વ છે.ભારતની પ્રજા અને તેમાંય ખાસ કરીને હિન્દૂ સમાજ ઉત્સવપ્રિય છે.આપણી સનાતન પરંપરામાં સમયાંતરે વિવિધ ધાર્મિક અને સામાજિક ઉત્સવો થકી સમાજના વિવિધ વર્ગોને સતત જોડતા રાખવાનું અદભુત કાર્ય આપણા ઋષિઓએ કર્યું છે.અષાઢ સુદ એકાદશી એટલે કે બુધવારે દેવશયની એકાદશી છે.દરેક એકાદશીનું એક અલગ મહત્વ હોય છે ત્યારે દેવશયની એકાદશી પણ એક અલગ જ મહત્વ ધરાવે છે.આજે આ દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી એટલે કે આગામી ચાર મહિના સુધી હવે માંગલિક કાર્યોનો નિષેધ રહેશે પરંતુ ઈશ્વરની ભક્તિ માટે આ સમયગાળો સર્વશ્રેઠ માનવામાં આવે છે. આથી, વિવિધ ઉપાસના પદ્ધતિમાં જોડાયેલા અલગ અલગ આસ્થાના કેન્દ્રો ઘરાવતા લોકો આજથી કારતક સુદ એકાદશી એટલે કે દેવ દિવાળી સુધી પોતપોતાની રીતે પોતાના ઇષ્ટની પૂજા-અર્ચના કરશે.ભગવાન વિષ્ણુએ આ એકાદશીને દિવસે જ શંખાસુર નામના રાક્ષસને માર્યો હતો.એ પછી વિશ્રામ કરવા ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં શયન કર્યું હતું.આથી આ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશીને દેવપોઢી એકાદશી તેમજ પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે.આપણા વિવિધ ધર્મગ્રંથોમાં આ એકાદશીનો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે.આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ઊતરી જાય છે. એટલે સમસ્ત શુભ દેવશક્તિઓ સુષુપ્ત થઈ જાય છે. એ કારણે આ ચાર મહિના દરમિયાન વિવાહ, લગ્ન, ઉપનયન, વાસ્તુ વગેરે પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી એટલે કે માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે સંતો,વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ એક જ સ્થાન પર રહી પોતાના ઇષ્ટદેવની ઉપાસન કરે છે.એક જગ્યા પરથી બીજી જગ્યા પર વિચરણ કરતા નથી.આ ચાતુર્માસ દરમ્યાન લોકો એકટાણું,ઉપવાસ ફક્ત ફળાહાર વગેરે કરીને ભગવાનની પૂજા અર્ચના કરે છે.
અષાઢ મહિનાથી ચાર મહિના બાદ એટલે કે કારતક સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે એટલે તે એકાદશીને પ્રબોધિની એકાદશી કે દેવ ઊઠી અગિયારસ કહેવાય છે.એ પછી દેવશક્તિઓ ક્રિયાન્વિત થતાં શુભ કાર્યોનો આરંભ થાય છે.સમગ્ર ભારતમાં આ એકાદશીને દેવ દિવાળી પણ કહેવામા આવે છે.સમગ્ર દેશમાં જયારે કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે ત્યારે આ એકાદશીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી દેશ-દુનિયાને બચાવે.


