જમીન વિકાસ નિગમના ભ્રષ્ટ જમીન સંરક્ષણ અધિકારીની ૩.૭૧ કરોડની અપ્રમાણસર મિલ્કતનો ઘટસ્ફોટ

350

– સસ્પેન્ડેડ જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહાની આવકની સરખામણીમાં ૬૨.૬૮ ટકા વધુ સંપત્તિ

વડોદરા : ખેત તલાવડી,સમી તલાવડી,પાણીનાં ટાંકા બનાવવાની રાજ્ય સરકારની વિવિધ યોજનામાં આચરવામાં આવેલા કરોડોના કૌભાંડના પ્રકરણમાં સંડોવાયેલી ટોળકીની બેનામી સંપત્તિનો લાંચ રૂશ્વત વિરોધ વિભાગ દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.૨૦૧૮માં બહાર આવેલા આ રાજ્યવ્યાપી કૌભાડમાં સંડોવાયેલા નવ અધિકારીઓ અને કર્મચારીઓની અત્યાર સુધી ૨૨.૩૫ કરોડની બેનામી સંપત્તિ બહાર આવી છે.આ પ્રકરણના મૂખ્ય સૂત્રધાર એવા જમીન વિકાસ નિગર લી.ના અમરેલી ખાતે ફરજ બજાવતા સસ્પેન્ડેડ જમીન સંરક્ષણ અધિકારી રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહની રૂપિયા ૩.૭૧ કરોડની બેનામી સંપત્તિ લાંચ રૂશ્વત વિરોધી વિભાગે શોધી કાઢી છે.મોટાભાગની સંપત્તિ વડોદરા અને તેની આસપાસમાં જ હોવાનું બહાર આવ્યુ છે.

ખેડુતોના નામે બનાવટી દસ્તાવેજો ઉભા કરીને ગુજરાત સરકારની આ વિવિધ યોજનામાંથી બારોબાર કાગળ પર જ ખેત તલાવડી,સીમ તલાવડી,પાણીના ટાંકા બનાવવામાં આવ્યા હોવાના દસ્તાવેજ ઉભા કરીને સરકારના જ કરોડો રૂપિયા સેરવી લેવામાં આવ્યા હોવાનું કૌભાંડ ૨૦૧૮માં બહાર આવ્યુ હતુ.પંચમહાલના શહેરા ખાતે પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું આ વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે જે તે સમયે સરકારમાં પત્ર લખીને ઘટસ્ફોટ કર્યો હતો. જેના આધારે લગભગ ૧૬૦ જેટલા ખેડૂતોના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરીને કરોડોની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યુ હતુ.બાદમાં તો આ રાજ્યવ્યાપી કૌભાંડ ગુજરાત જમીન વિકાસ નિગરના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ચાલતુ હોવાની વિગતો લાંચ રૂશ્વત વિરોધી વિભાગની તપાસમાં ખૂલ્યૂ હતુ.
અમરેલી ખાતે નાયબ નિયામક જમીન સંરક્ષણ કચેરીમાં જે તે સમયે ફરજ બજાવતા તથા આ કૌભાંડના મૂખ્ય સૂત્રધાર કહેવાતા વડોદરા સ્થિત રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહ સહિત નિગમના અધિકારીઓ,કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો.આ બહુચર્ચીત પ્રકરણમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની સંપત્તિની શરૂ થયેલી તપાસમાં અત્યાર સુધી નવ લોકોની અંદાજીત ૨૨.૩૫ લાખ જેટલી અપ્રમાણસર મિલ્કત હોવાનું બહાર આવ્યુ હતુ. જેમાં રામેન્દ્રસિંહ જયસિંહ કુશવાહના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેન્ક ખાતાઓ અને વિવિધ સરકારી દસ્તાવેજી માહીતી લાંચ રૂશ્વત વિરોધી વિભાગ શોધી કાઢીને તેમના નાણાંકીય વ્યવહારોનું વિશ્વેલણ કરતાં ચોંકાવનારી વિગતો મળી આવી હતી.તેમની અત્યાર સુધી સત્તાવાર આવક રૂપિયા ૫૯૨૨૭૫૮૨ થતી હતી તેની સામે તેમનો ખર્ચ અને રોકાણ રૂા. ૧૦૭૬૮૨૬૫૦ બહાર આવ્યો હતો.આમ તેમની આવકની સરખામણીમાં ૬૨.૬૮ ટકા વધુ એટલે કે રૂપિયા ૩૭૧૨૩૨૦૮ની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.

રામેન્દ્રસિંહ કુશવાહ અને તેમના પરીવારની મિલકતો ક્યાં ક્યાં

– રૂપિયા ૧.૩૨ કરોડની દુકાન વડોદરામાં જેતલપુર રોડ પર
– રૂપિયા ૧.૯૦ કરોડનો પ્લોટ વડોદરાની અલકાપુરી કુંજ સોસાયટીમાં
– રૂપિયા ૬૧.૫૦ લાખનો ફ્લેટ વડોદરામાં એક ટાઉનશીપમાં
– રૂપિયા ૩૮.૦૦ લાખનો જમીનનો પ્લોટ વાઘોડીયાના બાકરોલ પાસે
– રૂપિયા ૩૧.૫૧ લાખનું રોકાણ એક કંપનીમાં
– રૂપિયા ૧.૦૫ કરોડનું વડોદરા નજીક સાવલી પાસે એક પટ્રોલપંપમાં રોકાણ
– મધ્યપ્રદેશના ગ્વાલીયર નજીક મુરેનાં પાસે પણ ૧૭.૬૨ લાખમાં જમીન ખરીદીને ૧.૩૦ કરોડમાં વેચી
(પ્રોપર્ટી પત્નીના નામની પણ હોવાનું બહાર આવ્યુ છે, દીકરો હાલમાં અમેરીકામાં અભ્યાસ કરી રહ્યો છે)

Share Now