‘ફુકરે’ ફેમ મંજોત સિંહે કહ્યું : ‘સરદાર હોવાના કારણે મને નકારો નહીં’

302

મુંબઈ,તા.૨૧
‘ફુકરે’, ‘ડ્રીમ ગર્લ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ મંજોત સિંહે કાસ્ટિંગ ડિરેક્ટર્સને સલાહ આપી છે. મંજોતનું કહેવું છે કે જો હું ખરાબ એક્ટર હોય તો મને પસંદ ન કરો પરંતુ સરદાર હોવાના કારણે મને નકારો નહીં. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, હું એક સરદાર છું અને પાઘડી પહેરું છું. ઇન્ડસ્ટ્રીમાંથી અમને ત્યારે જ કોલ આવે છે જ્યારે સ્ટોરીમાં કોઈ સરદારની જરૂર હોય છે. માની લો કે તમે બે ફ્રેન્ડ્સની સ્ટોરી લખો છો તો તેમાં તમિળ, ગુજરાતી સિવાય સરદાર પણ હોઈ શકે છે. તેના માટે તમારે ફિલ્મને દિલ્હી કે પંજાબમાં બનાવવાની જરૂર નથી. તેણે કહ્યું કે હું સામાન્ય માણસ અને એક્ટર છું અને તમારે મને એ જ જૂની રીતથી રજૂ કરવાની જરૂર નથી.
મંજોત સિંહે કહ્યું કે, હું પાઘડી હટાવવા અને વાળ કપાવવા વિશે ક્યારેય વિચારી પણ નથી શકતો. જો હું મારા ધર્મનું સમ્માન નથી કરી શકતો તો હું કોઈ પાસેથી આ સમ્માન મેળવવાની આશા પણ ન રાખી શકું. ઇન્ડસ્ટ્રીમાં કોઈ સરદાર વાળ કપાવીને આવે છે તો એ તેની મરજી છે. રોલ માટે હું વાળ નહીં કપાવું, હું જન્મથી જેવો છું એમ જ રહીશ તેમાં ફેરફાર નહીં કરું.

Share Now