ઓલપાડ : ઓલપાડ તાલુકાના 11 ગામોમાં સરકારી જમીન પર સ્થાનિક રાજકારણીઓ સાથેની મિલી ભગતમાં ગેરકાયદે જિંગા તળાવો બન્યા હોવાનું ચર્ચાતું હતું,પણ જયારે મન્દ્રોઈ ગામના ઉપ સરપંચે એક સ્થાનિક અખબારના છુપા કેમેરામાં સામે કબુલ્યું કે તેમણે ગામના અન્ય 42 લોકોના તળાવ ભાડાપટે રાખ્યા છે.ત્યારે ગેરકાયદે જિંગા તળાવો સાથે સ્થાનિક રાજકારણીઓની મીલીભગત હોવાનું છતુ થયું છે.
સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી બિન અધિકૃત જિંગા તળાવ બનાવી મોટા પાયે ગેરકાયદે વેપલો કરાતો આવ્યો છે.ઓલપાડ કાંઠાના ગામોમાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે કબ્જો કરી બિન અધિકૃત તળાવો ખુદ રાજકીય આગેવાનો જેવા કે સરપંચ,તાલુકા અને જિલ્લા પંચાયત સભ્યો સહિત અન્ય લોકોના હોય અધિકારીઓએ કાર્યવાહી કરી નથી.તાલુકામાં કેટલાક સરપંચો દ્વારા મોટા પાયે ગેરકાયદે તળાવો બનાવવા સાથે સરકાર તરફથી ફાળવવામાં આવેલા તળાવો પણ લાભાર્થી પાસે ભાડા પટે લઈને પોતે વહીવટ કરતા આવ્યા હોવાનું મન્દ્રોઈ ગામના ઉપ સરપંચ સુશીલ પટેલની કબૂલાતે બહાર આવ્યું છે.
સરકારે લાભાર્થીને ફાળવણી કરેલ તળાવ અન્યને ભાડા પટે આપવા પણ ગુનો બને છે,આવા લાભાર્થી પાસે સરકાર તળાવ પરત લેવા કામગીરી કરી શકે છે.જે બાબતે ઉપસરપંચ અને લાભાર્થીઓ વાકેફ હોવા છતાં ગેરકાયદે વેપલો કરતા આવ્યા છે. આટલું જ નહી પણ સુશીલ પટેલે પણ ખુદ સરકારી જમીન પર કબ્જો કરી ગેરકાયદે તળાવો બનાવ્યા છે.
સુશીલના ગેરકાયદે તળાવની ફરિયાદ મળી છે,કાર્યવાહી થશે
મન્દ્રોઈ ગામના ઉપસરપંચ સુશીલ પટેલે પણ સરકારી જમીનમાં ગેરકાયદ જિંગા તળાવો બનાવ્યા હોવાની અમને ગામના લોકોએ ફરિયાદ કરી છે.આટલુંજ નહી પણ અમારા ધ્યાને આ બાબત આવી છે.તેણે ગામના અન્ય 42 લાભાર્થી કે જેઓને સરકારે તળાવ ફાળવાયા હોય, તે તળાવ પણ તેણે ભાડાપટે રાખી વહીવટ કરતો આવ્યો હોવાનું પણ ગેરકાદેસર કહેવાય,આ તમામ બાબતોએ તપાસ કરવા સાથે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે.> મામલતદાર અતીરાગ,ચાપલોત
ગેરકાયદે જિંગા તળાવો
મન્દ્રોઇ ગામના ઉપ સરપંચ સુશીલ પટેલની કબૂલાત મુજબ પોતાના પણ 4 તળાવ છે,જે કાયદેસર છે,તેવું એનું કહેવું છે.ત્યારે એકલાને સરકાર તરફથી કઈ રીતે એક સાથે 4 જિંગા તળાવ ફાળવવામાં આવ્યા,તે બાબતે પણ તપાસનો વિષય છે. સરકારી નિયમ મુજબ પણ સરકાર એક વ્યક્તિને 4 તળાવ નથી ફાળવતી.ગામના બ્લોક નંબર 407 વાળી સરકારી જમીન પર સૌથી વધુ ગેરકાયદેસર તળાવો બન્યા છે.આ બાબતે ગેરકાયદેસર જિંગા તળાવ બનાવનાર 4 વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ સમિતિને દરખાસ્ત કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે.