– માનવ અધિકાર માટે આજીવન કાર્યરત સોશિઅલ એક્ટિવિસ્ટનો ભોગ લેવાયો : સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન સંઘે દુઃખ વ્યક્ત કર્યું
મુંબઈ : ભીમા કોરેગાંવ ખાતે હિંસા ફેલાવવાના આરોપસર 84 વર્ષીય ફાધર સ્ટેન ઉપર આતંકવાદનો આરોપ લગાવી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.છેલ્લા 9 માસથી તેઓ જેલમાં હતા.
જે દરમિયાન તેમની તબિયત લથડતા મે મહિનામાં તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાંથી મૃત્યુના એક સપ્તાહ અગાઉ તેમણે આતંકવાદની કલમનો વિરોધ દર્શાવતી અરજી બોમ્બે હાઇકોર્ટમાં દાખલ કરી હતી.જેની સુનાવણી 5 જુલાઈના રોજ હતી.પરંતુ તે દિવસે જ તેમનું મૃત્યુ થયું હતું.આથી સંયુક્ત રાષ્ટ્ર યુરોપિયન સંઘે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આતંકવાદના ખોટા આરોપો લગાવી 84 વર્ષીય ફાધર સ્ટેનને જેલમાં ધકેલી દેવાયા હતા.આ બુઝર્ગ અને ઉંમરલાયક ફાધરનું હિરાસત દરમિયાન મૃત્યુ એ દુઃખદ બાબત છે.માનવ અધિકાર માટે આજીવન કાર્યરત સોશિઅલ એક્ટિવિસ્ટનો ભોગ લેવાયો હોવા અંગે વ્યથા વ્યક્ત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.
ભીમા કોરેગાંવ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કરેલી ધરપકડ બાદ ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવેલા માનવાધિકાર કર્મશીલ ફાધર સ્ટેન સ્વામીનું બીમારીથી નિધન થયું તેને લઈને અનેક લોકો સવાલ કરી રહ્યાં છે.સ્ટેન સ્વામીની નિધનને અનેક લોકોએ ટૉર્ચર અને હત્યા ગણાવી છે.સ્ટેન સ્વામીની ગત વર્ષે રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.તેમની ઉપર વિવાદાસ્પદ અનલૉફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ યાને કે ગેરકાયદે પ્રવૃતિ નિયંત્રણ અધિનિયમ (યુએપીએ) લાગુ કરવામાં આવ્યો હતો.
આ કાયદો આતંકવાદને રોકવા માટે લાવવામાં આવ્યો હોવાનું સરકાર કહે છે અને આની જોગવાઈ અનુસાર સરકાર કોઈ વ્યક્તિ કે સંગઠન પર આતંકવાદનો કે તેને મદદગારીનો આરોપ મૂકી શકે છે અને તે બિનજામીનપાત્ર ગુનો ગણાય છે.જાન્યુઆરી 2018માં ભીમા કોરેગાંવમાં હિંસક અથડામણો થઈ હતી.આ ઘટનામાં પોલીસે 16 સામાજિક કાર્યકર્તાઓ,કવિઓ અને વકીલોની ધરપકડ કરી હતી જેમાં ફાધર સ્ટેન સ્વામીનો પણ સમાવેશ થાય છે.
પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ આ કેસમાં ધરપકડ કરી હતી તેમાં આનંદ તેલતુંબડે,માનવાધિકાર કાર્યકર્તા ગૌતમ નવલખા,કવિ વરવર રાવ,સુધા ભારદ્વાજ,વર્નોન ગોન્ઝાલ્વિસ સહિત બીજા ઘણા લોકો સામેલ છે.આ આરોપીઓના પરિવારજનોએ સ્ટેન સ્વામીના મૃત્યુને ઇન્સ્ટિટ્યુશન મર્ડર યાને કે સંસ્થાકીય હત્યા ગણાવી છે.ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ સ્ટેન સ્વામીની ધરપકડ કરનાર નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ (એનઆઈએ) એમની કસ્ટડી ન માગી પણ એમને જેલમાં રાખવા
નું કહ્યું.
અહેવાલ કહે છે કે 8 ઑક્ટોબર 2020ના રોજ એમની ધરપકડ કરવામાં આવી. 9 ઑક્ટોબરે એમને રાંચીથી મુંબઈ લઈ જવામાં આવ્યા અને એનઆઈએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યાંથી એમને ન્યાયિક કસ્ટડીમાં તલોજા જેલમાં મોકલી દેવામાં આવ્યા. તેઓ બીમાર પડ્યા ત્યારે 28 મેના રોજ એમને ખાનગી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા.અહેવાલ સ્વામીના વકીલ મિહિર દેસાઈને ટાંકીને લખે છે કે જો એક પણ દિવસની કસ્ટડીની જરૂર ન હતી તો ધરપકડ શું કામ કરવામાં આવી? આ વાત મિહિર દેસાઈએ બૉમ્બે હાઈકોર્ટમાં કહી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આરોપીઓના પરિવારજનોએ સ્ટેન સ્વામીના નિધન પર નિવેદન રજૂ કર્યું છે.આ નિવેદન કહે છે કે અમે, ભીમા કોરેગાંવ કેસમાં આરોપીના પરિવારજનો અને મિત્રો સ્ટેન સ્વામીના નિધનથી ખૂબ પીડા અનુભવીએ છીએ.આ કુદરતી મૃત્યુ નથી પણ એક સજ્જન આત્માની અમાનવીય રાજ્ય દ્વારા કરવામાં આવેલી સંસ્થાકીય હત્યા છે.પોતાની જિંદગી ઝારખંડના આદિવાસીઓ માટે ખર્ચી નાખનાર અને આદિવાસીઓના સંસાધનો અને જમીનના અધિકાર માટે લડત આપનાર સ્ટેન સ્વામી પોતાની ભૂમિથી દૂર અને રાજ્ય દ્વારા ખોટા કેસમાં સંડોવણીના આવા મોતને લાયક ન હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ પોતાના ચરિત્ર થકી દરેકને મક્કમ મનોબળની પ્રેરણા આપતા હતા. પોતાની તબિયત બગડી રહી હોવા છતાં જેલમાં સાથી કેદીઓની ચિંતા કરતા હતા.પોતાના પત્રોમાં જેલમાં ખોટાં કેસમાં સજા ભોગવી રહેલા અન્ય કેદીઓની વાત કરતા અને સમાજમાં વ્યાપેલા અન્યાયને ઉજાગર કરતા.નિવેદન કહે છે કે સ્ટેન સ્વામીના મૃત્યુ માટે અમાનવીય જેલ, અલગ અલગ અદાલતો અને મલિન તપાસ સંસ્થાઓ જવાબદાર છે.

