એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે.આનો અર્થ એ છે કે એર ઇન્ડિયાના 70 ટકા વિમાનો ટેકનિકલ રીતે બીમાર છે.કેન્દ્ર સરકારે માહિતી આપી કે, તમામ એરલાઇન્સમાં સૌથી વધુ ટેકનિકલ સમસ્યાઓ એર ઇન્ડિયાના વિમાનોમાં જોવા મળી છે.સરકારના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2025થી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં વિવિધ એરલાઇન્સના કુલ 377 વિમાનોમાં વારંવાર ગરબડ થવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે.
405 વિમાનોની તપાસ કરવામાં આવી
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, વારંવાર થતી ખામીઓના સંદર્ભમાં ઈન્ડિગોના 405 વિમાનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.જેમાંથી આ વર્ષે 3 ફેબ્રુઆરી સુધીમાં 148 વિમાનોમાં વારંવાર ગરબડ હોવાનું સામે આવ્યું છે.
સ્પાઈસ જેટ અને અન્ય એરલાઇન્સની સ્થિતિ
આ ઉપરાંત, સ્પાઈસ જેટના 43 વિમાનોમાંથી 16 માં વારંવાર ગરબડ હોવાનું જાણવા મળ્યું છે. આંકડા અનુસાર, તપાસવામાં આવેલા 32 વિમાનોમાંથી કુલ 14 અકાસા એર વિમાનોમાં પણ ખામીઓ જોવા મળી હતી. આ સમયગાળા દરમિયાન, એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન’ (DGCA) એ પણ 3,890 સર્વેલન્સ નિરીક્ષણો કર્યા હતા.મંત્રીએ અન્ય એક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીના કિસ્સાઓમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષે આવી માત્ર 353 ઘટનાઓ બની હતી.
સુરક્ષા અને દેખરેખ
મોહોલે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં ટેકનિકલ ખામીના કુલ 421 કેસ નોંધાયા હતા. જે તેના અગાઉના વર્ષની 448 ઘટનાઓ કરતા ઓછા છે. DGCA પાસે તમામ વિમાનો અને એરપોર્ટ ઓપરેટરો માટે નિયમોના પાલનની દેખરેખ રાખવા માટે એક વ્યવસ્થિત સુરક્ષા સિસ્ટમ છે.આ અંતર્ગત અચાનક તપાસ અને રેગ્યુલેટરી ઓડિટ કરવામાં આવે છે.જો ઓડિટમાં ખામીઓ જણાય, તો સુધારાત્મક પગલાં લેવા માટે એરલાઇન્સનો સંપર્ક કરવામાં આવે છે.જો નિયમોનું ઉલ્લંઘન જણાય તો DGCA દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.એરલાઇન્સ માટે તમામ નાની-મોટી ઘટનાઓની જાણકારી DGCA ને આપવી ફરજિયાત બનાવવામાં આવી છે.


