ભાજપ મને તેમજ આમ આદમી પાર્ટીને બદનામ કરવા આવા ષડયંત્રો રચી રહી છે: તાહિર
એજન્સી, નવી દિલ્હી
દિલ્હી હિંસાના મામલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તાહિર હુસૈન પર આરોપ લાગી રહ્યા છે. હિંસામાં માર્યા ગયેલા ઈન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારી અંકિત શર્માના પરિવારજનોએ કથિત રીતે તાહિર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. તાહિર પર બીજો એવો આરોપ પણ લગાવવામાં આવ્યો છે કે, 25 ફેબ્રુઆરીના રોજ તેમના ચાંદબાગ સ્થિત ઘરમાંથી અસામાજીક તત્વોએ લોકો પર પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા.
જોકે, તાહિર હુસૈને તમામ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ તેમના ઘરના ધાબા પરથી મોટી સંખ્યામાં ઈંટ-પથ્થરો અને પેટ્રોલ બોમ્બ મળી આવ્યા છે. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે તેમના ધાબા પર મોટી માત્રામાં પથ્થરો પડેલા છે અને પ્લાસ્ટિકના કેરેટ્સમાં પેટ્રોલ બોમ્બ્સ અને પથ્થરો અને ઈંટોના ટુકડાઓ ભરેલા છે.
તાહુર હુસૈનનું કહેવું છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેઓ ઘરે હતા જ નહીં. તેમજ આ ષડયંત્ર ભાજપના નેતા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેઓ મને અને આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. નોંધનીય છે કે દિલ્હી હિંસાના મામલામાં બુધવારના રોજ દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી. આ દરમિયાન જસ્ટિસ એસ. મુરલીધરે ‘હેટ સ્પીચ’ આપનારા નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નહીં નોંધવાના મામલે દિલ્હી પોલસની ઝાટકણી કાઢી હતી.