ગુજરાતમાં ચાર દિવસથી રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે.આ રાજકીય ધમાસાણ એક પ્રકારનું નાટક બની રહી ગયુ છે.જેનો ઘડીકમા પડદો ઉંચકાય છે,તો ઘડીકમાં ઢાંકી દેવાય છે.વિજય રૂપાણીને રાજીનામુ અપાવડાવીને,નવા મુખ્યમંત્રી બેસાડવામાં આવ્યા.પણ હવે રાજકીય તોફાન ઉઠ્યું છે.ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ એકાએક અટકાવીને આવતીકાલ પર ચડતાં ભાજપમાં આંતરિક ડખા હોવાની વાત હવે સામે આવી છે.દિગ્ગજોને નારાજ કરીને નવા ચહેરા લાવવાની વાત પર ચાલેલા-રિસામણાની મડાગાંઠ ઉકેલાઈ નથી,જેથી શપથવિધિ સમારોહ અટકાવી દેવામાં આવ્યો હતો.એટલુ જ નહિ, આજની તારીખના બનાવાયેલા બેનર પણ ફાડી નાંખવામાં આવ્યા હતા.ત્યારે સમગ્ર મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો છે.
શપથવિધિ સમારોહ આજે રદ થવાની જાહેરાત બાદ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવી હતી.જેથી મોટી સંખ્યામાં આવેલા નેતાઓ ગાંધીનગરથી રવાના થવા હતા.પરંતુ આટલી મોટી જાહેરાત આ રીતે અધવચ્ચે અટકાવી દેવી એ સાબિત કરી છે કે, ભાજપમાં આંતરિક મતભેદ અને નારાજગી દૂર થઈ નથી.સરકાર ભલે કહેતી હોય કે નેતાઓમા કોઈ નારાજગી નથી,પણ કાર્યક્રમ રદ થવુ સાબિત કરે છે કે ઓલ ઈઝ નોટ વેલ.
દિલ્હીથી દરમિયાનગીરી થાય તેવી શક્યતા
આજે સવારથી જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના નિવાસ સ્થાને એક પછી એક ધારાસભ્યોની મીટિંગ યોજાઈ છે.પક્ષના નારાજ નેતાઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે.તો બીજી તરફ,પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની બંગલે સિનિયર નેતાઓનુ એકઠુ થવુ પણ નારાજગીનો સૂર વ્યક્ત કરે છે.આ વચ્ચે અનેક મંત્રીઓને આજે પોતાની ઓફિસ તાબડતોડ ખાલી કરાવવી પડી હતી.ત્યારે આ સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે.દિલ્હીથી આવેલા નેતાઓ આ નારાજગી દૂર કરવામાં અને ડેમેજ કન્ટ્રોલ કરવામાં સફળ નીવડ્યા નથી.ત્યારે હવે દિલ્હીથી આ મામલે દરમિયાનગીરી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.


