રાજકોટ : જસદણમાં પાટીદારોનું એક મહાસંમેલન આયોજીત થયું હતું.જેમાં તમામ પાટીદાર અગ્રણી અને નેતાઓ દ્વારા પોતાના પક્ષની લાઇન છોડીને પાટીદાર સમાજના એકસુત્રી કાર્યક્રમમાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટ – ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલ,ઊંઝા ઉમિયા સંસ્થાના મણીભાઈ પટેલ,હાર્દિક પટેલ,લાલજી પટેલ,વરૂણ પટેલ,અલ્પેશ કથીરિયા,દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો તેમજ નેતાઓ હાજર રહ્યા હતા.આ સિવાય આ પ્રસંગે બીએપીએસ (BAPS)સંસ્થાના અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા.બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પોતાના વક્તવ્યમાં પાટીદારો અંગે વાતો કરીને તમામને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા.
રાજકોટ BAPS સ્વામી નારાયણ મંદિરના મહંત અપૂર્વ મુનિ સ્વામીનું જસદણમાં ઈંડા અને નોનવેજને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે પાટીદાર સમાજના લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારીએ ઉભા રહેવાનું બંધ કરો.સરદાર પટેલનું માથું શરમથી ઝૂકી ન જાય તેનો ખ્યાલ રાખીને દરેક કામ કરો.તેમણે ઉમેર્યું હતું કે આજે ખૂબ જ હિંમત કરી આ નિવેદન કરી રહ્યો છું.
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની છબી ખરડાઈ! UGC રેન્કિંગમાં એકેય યુનિવર્સિટીઓને 5 સ્ટાર નહી
અપૂર્વમુની સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે દેશનુ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતમાં એક પાટીદારનું છે.સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તેનું ધ્યાન પાટીદારોએ રાખવાનું છે.આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે.આજના સમયમાં પાટીદાર સમાજમાં કેટલાક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ.ખૂબ હિંમત કરી આ પ્રકારનું નિવેદન કરી રહ્યો છું.મને ખ્યાલ છે કે, કેટલાક લોકોને મારી આ વાત પસંદ નહીં પડે.પરંતુ હું બીએપીએસ સંસ્થાનો એક હિન્દુ સંત છું.ત્યારે મારે આ વાત કહેવી ફરજિયાત છે.
કાર્યક્રમમાં સ્વામીએ કલેકટર અને કમિશનર પણ પાટીદાર જ હોવા જોઈએ આ નિવેદન કરીને ખળભળાટ મચાવી દીધો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેતી કરવા માટે અભણ પાટીદાર હશે તો ચાલશે પરંતુ બિનખેતી કરવા માટે ભણેલા-ગણેલા પાટીદાર હોવું જરૂરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જેમ જેમ વિધાનસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. તેમ તેમ એક પછી એક સમાજ દ્વારા સરકાર પાસે વિવિધ માંગણીઓના નામે નાક દબાવવાનું શરૂ કર્યું છે.


