અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે.સૂત્રોમા જણાવ્યા પ્રમાણે આ પગલું અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં ચાલી રહેલા હુમલાઓને રોકવા અને તાલિબાન સાથે તાત્કાલિક યુદ્ધવિરામ કરાર સુધી પહોંચવાના હેતુથી લેવામાં આવી શકે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજીનામું આપ્યા બાદ ગની તેના પરિવાર સાથે ‘ત્રીજા દેશમાં’ જઈ શકે છે.જોકે, અફઘાનિસ્તાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ આ પગલા સાથે સહમત નથી.
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ શહેરના બચાવના પ્રયાસોના ભાગરૂપે બુધવારે મઝાર-એ-શરીફની મુલાકાત લીધી હતી અને સરકાર સાથે જોડાયેલા અનેક લશ્કરી કમાન્ડરો સાથે બેઠક યોજી હતી.એક ન્યૂઝ અનુસાર, અહીં મીડિયાને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું કે, તમારા રાષ્ટ્રપતિ હોવાના કારણે, હું તમને ખાતરી આપું છું કે મારું સંપૂર્ણ ધ્યાન હિંસા અને રક્તપાત રોકવા પર છે.હું અફઘાનિસ્તાનમાં યુદ્ધ ચાલુ રાખવા અને 20 વર્ષમાં આપણે જે પ્રાપ્ત કર્યું છે તેને બર્બાદ કરવાની રજા ન આપી શકુ.
તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજધાની કાબુલની ખૂબ નજીક પહોંચી ગયું છે.આ દરમિયાન,શાંતિ વાટાઘાટ સમિતિ એક નવો મુસદ્દો તૈયાર કરવામાં વ્યસ્ત છે,જેમાં રાષ્ટ્રપતિ અશરફ ગની સરકારની સંપૂર્ણપણે હકાલપટ્ટી કરવામાં આવી શકે છે.સૂત્રોએ જણાવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં યુદ્ધવિરામ માટે નવા ફોર્મ્યુલા હેઠળ મંથન ચાલી રહ્યું છે, તે હેઠળ તાલિબાન, સૈન્ય અધિકારીઓ અને કેટલાક વર્તમાન પ્રતિનિધિઓની સાથે વચગાળાની સરકાર રચાશે. તમામ વિચાર-વિમર્શ પછી આ ફોર્મૂલા તમામ સંબંધિત પક્ષો સાથે વહેંચવામાં આવશે.તે હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં હોવાથી,આ યોજના કોઈ ભાગીદાર સાથે શેર કરવામાં આવી નથી,પછી ભલે તે અફઘાન સરકાર હોય કે તાલિબાન.