હૈદરાબાદ : ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)નો જોશ હાઈ છે.પરંતુ પરિણામમાં ટીઆરએસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે.સૌથી મોટું નુકસાન પણ ટીઆરએસને થયું છે.તો પોતાની શાખ બચાવવામાં સફળ રહેલા એઆીએમઆઈએમ (AIMIM)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી ગદગદ જોવા મળ્યા છે.
મહત્વનું છે કે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 48 સીટ જીતી છે.આ પહેલા 2016ની ચૂંટણીમાં ભાજપના ખાતામાં માત્ર ચાર સીટો આવી હતી.તો ઓવૈસીની પાર્ટીને 44, ટીઆરએસને 56 અને કોંગ્રેસના ખાતામાં માત્ર 2 સીટ આવી છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમત માટે 75 સીટો જરૂરી હતી. પરંતુ કોઈ પાર્ટી આ આંકડા સુધી પહોંચી શકી નથી.તેવામાં માનવામાં આવી રહ્યું છે કે ટીઆરએસ અને AIMIM મળીને પોતાના મેયર બનાવી શકે છે.ટીઆરએસ અને એઆઈએમઆઈએમની કુલ સીટો મળીને 100 થઈ જશે,જે બહુમતના આંકડા કરતા ઘણી વધુ છે.
ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જાહેર થયા બાદ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી.તેમણે પોતાના સંબોધનમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપ પર હુમલો કર્યો હતો.આ સાથે તેમણે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી લડવાની વાત પણ કરી છે.
એઆઈએમઆઈએમની જીત પર ખુશી વ્યક્ત કરતા ઓવૈસીએ કહ્યુ,કોવિડ છતાં જેણે પોતાના મતનો ઉપયોગ કર્યો,તેને ધન્યવાદ આપુ છું.લોકોની વચ્ચે રહેવું અમારી સફળતાનું સૌથી મોટું કારણ છે.અમારા કોર્પોરેટર શનિવારથી કામ કરવાનું શરૂ કરી દેશે. મેયર અને ડેપ્યુટી મેયર પર અમે કોર્પોરેટરો સાથે વાત કરી નિર્ણય કરીશું.
અસદુદ્દીન ઓવૈસીએ આગળ કહ્યું કે, GHMC Elections 2020માં અમારી પાર્ટીએ 44 સીટો જીતી. આ અમારી સૌથી સારી સ્ટ્રાઇક રેટ છે.તેલંગણાની 2023 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સફળતા મળશે નહીં.સીએમ યોગી વધુ એક્ટિંગ ન કરે.શું થયું સર્જિકલ સ્ટ્રાઇક કરવાની વાત કરી હતી.અહીં તો ડેમોક્રેટિક સ્ટ્રાઇક થઈ ગઈ.જ્યાં ગૃહમંત્રી અને યોગી ગયા ત્યાં અમે જીતી ગયા.
દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી લડવા પર ઓવૈસીએ કહ્યુ કે,અમે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચૂંટણી લડીશું.આ સાથે કહ્યું કે,કેરલ અને અસમમાં અમે જશું નહીં.