મુંબઇ: તા. 6 એપ્રિલ 2022,બુધવાર : વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વર્તાવી રહેલ ઓમિક્રોનના XE વેરિયન્ટથી ભારતમાં પણ તારાજી સર્જાઈ શકે છે તેવી આશંકા વચ્ચે દેશમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે.અહેવાલ અનુસાર ભારતમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં કોરોનાનો આ સંક્રમિત દર્દી જોવા મળ્યો છે.કોરોના સંક્રમિત દર્દી ઓમિક્રોન XE વેરિયન્ટનો છે તેવી પુષ્ટિ બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે બુધવારે કરી છે.તેમણે કહ્યું કે પરીક્ષણ કરાયેલા 376 નમૂનાઓમાંથી 230 મુંબઈના રહેવાસી હતા.
“જિનોમ સિક્વન્સિંગ લેબમાં પરીક્ષણની આ 11મી બેચ હતી. 230માંથી 228 નમૂનાઓ ઓમિક્રોનના છે.બાકી સેમ્પલમાં એક કપ્પા વેરિઅન્ટ અને એક XE વેરિઅન્ટનો દર્દી છે. નવા વેરિયન્ટના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી, ” BMC કમિશનરે કહ્યું.વૈજ્ઞાનિકો અને રિસર્ચરના મત અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટના સ્ટ્રેઈનનું આ મ્યુટેશન, XE વેરિઅન્ટ ઓમિક્રોન મ્યુટેશન કરતાં 10 ગણું વધુ ટ્રાન્સમિસિબલ(સંક્રમણ કરનાર) હોઈ શકે છે.


