નવી દિલ્હી,તા. 21 એપ્રિલ 2023, શુક્રવાર : ગોધરાકાંડમાં આજીવન કેદની સજા કાપી રહેલા 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે.જો કે, કોર્ટે તે દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો છે જેમને નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી ત્યારે શુક્રવારે આ દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયાધીશની કોર્ટે કહ્યું કે મૃત્યુદંડની સજા પામેલા ચાર દોષિતોને છોડીને બાકીનાને જામીન આપ્યા છે.સુપ્રીમ કોર્ટે જે આઠ દોષિતોને જામીન આપ્યા છે તેઓ હાલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ ગોધરા રેલવે સ્ટેશને 2002ના વર્ષમાં ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી હાથ ધરી હતી.આ અરજી ગોધરા ટ્રેન કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 8 લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
સાબરમતી ટ્રેનના ડબ્બામાં લગી હતી આગ
ઉલ્લેખનીય છે કે, 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પર સાબરમતી ટ્રેનના એક ડબ્બામાં આગ લગી હતી.આ ઘટનામાં કુલ 59 મુસાફરોના મોત થયા હતા.મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના કાર સેવકો હતા જેઓ અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા.આ ઘટનાના બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ રાજ્યમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું.આ બંધ દરમિયાન અમદાવાદ શહેરના નરોડા ગામ વિસ્તારમાં હિંસા થઈ હતી અને આ ઘટનામાં કુલ 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તણાવ જેવો માહોલ સર્જાયો હતો.
અગાઉ નીચલી અદાલતે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા
ઘટનાના લગભગ નવ વર્ષ બાદ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા.આ પછી વર્ષ 2011માં SIT કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી જ્યારે 20 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી.જ્યારે મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી.