અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં માહોલ જામતો નથી તેથી ભાજપ ચિંતામાં છે.નવા વરાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માટે આ પહેલી કસોટી છે તેથી તમામ બેઠકો જીતીને પોતાની તાકાત સાબિત કરવા માગતા પાટીલે ભાજપના કાર્યકરોને ઘેર ઘેર જઇને મતદારોનો સંપર્ક કરવા સૂચના આપી છે.પાટીલે રાજ્યના મહિલા મોરચાને આ જવાબદારી સોપીને તમામ મતદારોનો સંપર્ક કરવા કહ્યું છે.
પાટીલ દ્વારા કાર્યકરોને ખાસ કહેવાયુ છે કે,કેન્દ્ર-રાજય સરકારની યોજનાઓથી લોકોને વાકેફ કરવામાં આવે.રાજ્ય સરકારે લીધેલાં પ્રજાલક્ષી નિર્ણય વિશે મતદારોને જાણકારી આપવામાં આવે અને આ બધી માહિતી થકી મતદારોને ભાજપને મત આપવા કહેવામાં આવે.સરકારનાં કામોથી મતદારોને માહિતગાર કરવા કાર્યકરોને પ્રચાર સાહિત્ય સાથે ચૂંટણી કામે લગાડાયાં છે.
જો કે કોરોના,મોંઘવારી સહિતની સમસ્યાઓને લીધે લોકોને ગુજરાતની પેટાચૂંટણીમાં રસ જ નથી.બિહાર વિધાનસભાની ચૂંટણી હોવાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બિહારમાં વ્યસ્ત છે તેથી તેમને ગુજરાતની પેટાચૂંટણીમાં ઝાઝો રસ નથી.આ કારણે ભાજપ માટે પ્રચારનો ટેમ્પો જમાવવો મુશ્કેલ છે.મોદી અને શાહ બિહારની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પેટાચૂંટણીમાં પ્રચાર માટે આવે તેવી શક્યતા નહીવત છે.મોદી-શાહની ગેરહાજરીમાં ભાજપના નેતાઓના માથે પેટાચૂંટણી જીતવાની જવાબદારી આવી છે તેથી તેમણે કાર્યકરોને શરણે જવું પડ્યું છે.


