નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર: કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાને CBI દ્વારા ક્લીન ચિટ આપવામાં આવી છે.નીરા રાડિયાને લીક થયેલા 800 જેટલા કોલ ટેપ્સ મામલે ક્લીન ચિટ આપવામાં આવી છે.તપાસ એજન્સીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ટેપ થયેલી વાતચીતમાં કોઈ પણ અપરાધિક વાત સામે નથી આવી.સાથે જ ટેપમાં સામેલ વાતચીત મામલે જે 14 પ્રાથમિક તપાસ ચાલુ હતી તેને પણ બંધ કરવા જણાવાયું છે.
એડિશનલ સોલિસિટર જનરલ એશ્વર્યા ભાટીએ બેંચને વર્ષ 2015માં કોર્ટ તરફથી આપવામાં આવેલા તપાસના આદેશ સાથે સંકળાયેલો રિપોર્ટ પણ જમા કરાવવા જણાવ્યું હતું.આ કેસમાં જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની આગેવાનીવાળી જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ સુનાવણી કરી રહી હતી.ભાટીએ કોર્ટને જણાવ્યું કે, તપાસ દરમિયાન કોઈ પણ અપરાધિક વાત સામે નથી આવી.તપાસના પરિણામો સાથે સંકળાયેલો એક રિપોર્ટ સીલબંધ કવરમાં કોર્ટમાં દર્શાવવામાં આવ્યો અને સંબંધિત વિભાગોને પણ મોકલવામાં આવ્યો.કોર્ટ આગામી સપ્તાહે આ મામલે આગળની સુનાવણી કરશે.કેન્દ્રીય એજન્સીની આગામી સુનાવણી પહેલા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરે તેવી પણ શક્યતા છે.
ઓક્ટોબર 2013માં સુપ્રીમ કોર્ટે એજન્સીને તપાસ માટે આદેશ આપ્યો હતો. સીબીઆઈએ 5,800થી પણ વધારે ટેપમાં જે ચર્ચા થઈ હતી તેની તપાસ બાદ 14 પોઈન્ટ્સ અલગ તારવ્યા હતા.સરકારે વર્ષ 2008થી 2009 દરમિયાન ચોરીની તપાસ મામલે રાડિયાની વાતોને ઈન્ટરસેપ્ટ કરી હતી.ત્યાર બાદ સીબીઆઈએ સંભવિત ગુનાઓની ભાળ મેળવવા માટે 14 પ્રાથમિક તપાસો શરૂ કરાવી હતી.જોકે યોગ્ય પુરાવાના અભાવે તેને બંધ કરી દેવામાં આવી છે.
કેન્દ્રયી એજન્સીએ પોતાની પ્રારંભિક તપાસમાં ટાટા સ્ટીલ,રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને યુનિટેક જેવા અનેક દિગ્ગજ નામોને સામેલ કર્યા હતા.ત્યાર બાદ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ઉદ્યોગપતિ રતન ટાટાએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, વાતચીતને મીડિયામાં લીક ન કરવી જોઈએ. જ્યારે સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે, CPIL દ્વારા જે અરજી કરવામાં આવેલી તેમાં ટ્રાન્સક્રિપ્ટ્સને સાર્વજનિક કરવાની માગણી કરવામાં આવી હતી.
કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાની કંપની ટાટા જૂથ અને મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે જનસંપર્કનું (PR) કામ કરતા હતા.વર્ષ 2010માં નીરા રાડિયાની વિવિધ ઉદ્યોગપતિઓ,રાજકારણીઓ,અધિકારીઓ અને પત્રકારો સાથેની ફોન પરની વાતચીતની 800 જેટલી ટેપ્સ મીડિયામાં સામે આવી હતી.ત્યાર બાદ 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં નીરા રાડિયાની ભૂમિકા મામલે પણ સવાલો જાગ્યા હતા.તે ટેપ્સમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથેની ફોન પરની વાતચીતનો પણ સમાવેશ થતો હતો.