લખનૌ, તા. 25 માર્ચ 2022, શુક્રવાર : યોગી આદિત્યનાથ આજે ઈકાના સ્ટેડિયમ ખાતે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.તેમના સાથે 48 મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે.આજે સાંજે 4:00 વાગ્યે યોજાનારા આ શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહેશે.યોગી આદિત્યનાથે પોતે જ ફોન કરીને મુલાયમ સિંહ,અખિલેશ યાદવ અને માયાવતીને સમારંભમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે.
આજે યોગી આદિત્યનાથની સાથે આશરે 47 જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.નવી કેબિનેટમાં 7થી 8 મહિલાઓ પણ મંત્રી બની શકે છે.જોકે કોણ મંત્રી બનશે તે નામ સ્પષ્ટ નથી થયા પરંતુ કેટલાક જૂના મંત્રીઓની વાપસી અને યુવા ચહેરાઓને પ્રાધાન્ય મળશે તેમ જણાઈ રહ્યું છે.
આ સાથે જ 2 નાયબ મુખ્યમંત્રી અને તેમાંથી એક કેશવ પ્રસાદ મૌર્ય હશે તે નિર્ધારિત જણાઈ રહ્યું છે.પાછલી સરકારમાં મંત્રી રહેલા 20થી વધારે નેતાઓને આ વખતે યોગી કેબિનેટમાં સ્થાન નહીં મળે.આ વખતે બનારસથી એક એવો ચહેરો યોગી મંત્રીમંડળમાં દેખાઈ શકે છે જે કોઈ સદનનો સદસ્ય નથી.
શપથ ગ્રહણમાં સામેલ થનારા નેતાઓ,ધારાસભ્યો અને MLCનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.જેમનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હશે તે લોકોને જ મંચ પર સ્થાન આપવામાં આવશે.આશરે 70 નેતાઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ પહેલા કાર્યકરોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે.પ્રદેશના વિભિન્ન વિસ્તારોમાંથી ભાજપ કાર્યાલય પહોંચેલા કાર્યકરોએ ગાઈ-વગાડીને મુખ્યમંત્રી યોગીની સેકન્ડ ઈનીંગનું સ્વાગત કર્યું હતું.કાર્યકરોના કહેવા પ્રમાણે બુલડોઝર બાબાએ કાયદાનું રાજ,મહિલા સુરક્ષા અને ગરીબ કલ્યાણ વડે પ્રદેશની તસવીર બદલી નાખી છે.
ગોરખનાથ મંદિરમાં 11 ક્વિન્ટલ લાડુ ધરાવાયા
લખનૌમાં યોગી આદિત્યનાથના બીજી વખતના શપથ ગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તેમના ઘર ગોરખપુરમાં શપથ ગ્રહણ બાદની ઉજવણી અને પ્રસાદ વિતરણની તૈયારીઓ થઈ રહી છે.ગોરખનાથ મંદિરમાં 11 ક્વિન્ટલ લાગુ ભગવાન ગોરખનાથને પ્રસાદમાં ધરાવીને તેને ઈકાના સ્ટેડિયમ મોકલી દેવાયો છે.સાંજે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે ત્યાર બાદ ઈકાના સ્ટેડિયમ મોકલવામાં આવેલા લાડુ મહેમાનોને પ્રસાદ તરીકે વિતરિત કરવામાં આવશે.શપથ ગ્રહણ બાદ ગોરખનાથ મંદિરમાં પ્રસાદરૂપે વિતરણ કરવા 5 ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવ્યા છે.