ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે હાલ સોશિયલ મીડિયા પર મોરચો મંડાયો છે.હેશટેગ છે-મને ખબર નથી..આ વાક્ય ટ્રેન્ડિંગમાં છે.સુરતમાં એક પત્રકારે કોવિડ પેશેન્ટના આંકડામાં તફાવત કેમ આવે છે તેવો સવાલ પૂછયો અને મુખ્યમંત્રીએ કહ્યું કે-મને ખબર નથી.કોંગ્રેસે પાર્ટીએ પણ અપેક્ષા મુજબ સાયબર સ્પેસમાં વહેતી ગંગામાં હાથ ધોવાનું શરૂ કરી દીધું છે.કોંગ્રેસે ધમણ વેન્ટીલેટરથી લઇને બીજી બાબતોની સાથે ખબર નથી વાતને જોડી દીધી છે. જોકે, ઘણા લોકો વિજય રૂપાણીના સમર્થનમાં પણ લખી રહ્યા છે.તેમનું કહેવું છે કે વિજય રૂપાણી ઇમાનદાર છે.એવા કેટલા લોકો છે જે નિખાલસપણે કહી શકે કે મને ખબર નથી.
આ તો થઇ વાત સોશિયલ મીડિયામાં થઇ રહેલી વાતની. પણ અહીં સવાલ એ છે કે શું મુખ્યમંત્રીને બધી વાતોની ખબર હોય તે જરૂરી છે. ઘણા લોકોનું માનવું છે કે એક મુખ્યમંત્રી તરીકે જે તે સળગતી સમસ્યાઓ હોય તેની જાણકારી તેમની પાસે હોય તે જરૂરી જ છે.તેમણે લોકોના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે.આ વાત સાચી પણ છે.તેમની પાસે પ્રજાના પ્રશ્નોના જવાબ હોવા જ જોઇએ. હાલ જે મુદ્દો ચાલી રહ્યો છે તેમાં પત્રકારે સવાલ કર્યો અને તેમણે જવાબ તો આપ્યો જ છે.ભલે સંતોષકારક નથી.તેમણે ઇમાનદારીથી જવાબ આપ્યો કે તેમને ખબર નથી.આપણે તેમની નિખાલસતાને બિરદાવવા જેટલી ઇમાનદારી તો બતાવવી જ જોઇએ.
પરતું તેનાથી પણ મોટો સવાલ એ છે કે શું વિજય રૂપાણીને બધી વાતોની ખબર હોય જ તે શક્ય છે ખરૂ,અને ખબર હોય તો પણ તેમને જે તે સમયે યાદ આવે તે શક્ય છે ખરૂ.આ સવાલનો જવાબ મેમરીના એક્સપર્ટ જ આપી શકે. મેમરી એટલે કે સ્મૃતિ પર થયેલા સંશોધનો બતાવે છે કે આપણી સ્મૃતિની ક્ષમતા અનન્ત છે.
કેટલાક અંદાજો બતાવે છે કે આપણી સ્મૃતિમાં 10 લાખ ગીગાબાઇટ જેટલી માહિતી સ્ટોર કરી શકાય છે. એટલે કે 32 જીબીના 31250 ફોનમાં જેટલી માહિતી આપણા મગજમાં સ્ટોર થઇ શકે.મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણા મગજની કેપેસિટી તો ઘણી છે પરંતુ તેનો ઉપયોગ એટલો થતો નથી. આપણે જે વસ્તુઓ પણ વધુ ધ્યાન આપીએ તે જ આપણે યાદ રહે છે.પરંતુ આપણે એક સાથે વધુમાં વધુ 9 વસ્તુઓ પર જ ધ્યાન આપી શકીએ છીએ.અને ધ્યાન આપ્યા પછી પણ તે આપણી સ્મૃતિમાં સચવાય તેની ગેરન્ટી નથી.
એક વાર ધ્યાન આપ્યા પછી જે તે બાબત આપણા મગજમાં 30 સેકન્ડથી વધુ સમય સુધી સતત ઘૂમરાયા કરે તો જ તે લાંબાગાળાની સ્મૃતિમાં ફેરવાય છે.એટલે બધી જ બાબતો યાદ રહે તે જરૂરી નથી.યાદ હોય તો પણ ઘણી બાબતો જે તે સમય યાદ ન પણ આવે.આપણે ઘણી તૈયારી કરીને પરીક્ષા આપવા જઇએ.પરીક્ષા પહેલા તો બધુ યાદ છે તેમ લાગે પરંતુ પરીક્ષા ખંડમાં ઘણુ યાદ આવતું પણ નથી.આમ વિજયભાઇને બધુ યાદ રહે તે શક્ય નથી. યાદ હોય પણ જે તે સમયે રીકોલ ન થાય,તેવું બની શકે.અને તેમને બધી બાબતોની ખબર હોય તે પણ જરૂરી નથી.
પરંતુ કેટલીક એવી બાબતો છે જેની જાણકારી તેમણે રાખવી જ જોઇએ. કોંગ્રેસ તેમની વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં કેમ્પેઇન કરે અને તેમને ખબર ન હોય તો ચાલે. પરંતુ તેમના જ લોકો તેમની સામે પ્રચારયુદ્ધ કરતા હોય તેની ખબર તો તેમણે રાખવી જ જોઇએ.જેમ કે હાલમાં તેમનો એક ફોટો મોર્ફ કરીને લાંબા વાળ વાળી સ્ત્રી હોય તેવી રીતે પ્રોજેક્ટ કરાઇ રહ્યા છે.તેમની જ પાર્ટીના કેટલાક મોટા નેતાઓનો આ પાછળ હાથ હોવાનું સૂત્રો કહે છે.જેમની નજર વિજયભાઇની ખુરશી પર છે તેવા લોકો આ કરી રહ્યા હોવાનું ચર્યાઇ રહ્યું છે.આ વાતની તો વિજયભાઇને ખબર હોવી જ જોઇએ.