– પાટીલની સૂચના હોવા છતાં ભાજપના કદાવર ધારાસભ્યોને પોલીસ કમિશનર ગાંઠતા નહોતા
– રાજકીય ખેલને આખરી ઓપ અપાઈ ગયો, રાજકોટ CP મોટી રાવમાં માત્ર અરજી લેતા ફરિયાદ નહીં
રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પૈસા પડાવવાનો ધંધો કરે છે તેવા એક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બે ખુદ સરકાર હલાવી દીધી છે. ગોવિંદ પટેલના ગૃહમંત્રીને પત્ર મોકલતા સમગ્ર રાજકારણ અને પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.પરંતુ અહીં રાજકારણની અને રાજકોટના આંતરિક જૂથવાદની ચરમસીમા આવી ગઈ છે.જોકે એ પણ સ્પષ્ટ થાય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પૂછ્યા વગર આ લેટરબોમ્બ ફૂટે નહીં.રાજકોટના પોલીસ કમિશનર તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ માનવામાં આવે છે.ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.
CP મનોજ અગ્રવાલ ધારાસભ્યોનું ગાંઠતા નહીં
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે અને જે-તે સમયે પાટીલે એવું કહ્યું હતું કે, ભાજપનો કાર્યકર કે ધારાસભ્ય હોય અધિકારીઓએ તેનું સાંભળવું તો પડશે જ.પરંતુ રાજકોટ પોલીસ કમિશનર ધારાસભ્યોને ગાંઠતા ન હોય અંતે ગોવિંદ પટેલે સીધી પાર્ટી અને ગૃહમંત્રીને ફરિયાદ કરવી પડી છે.
અગાઉ ગોવિંદ પટેલને મંત્રીપદ ન આપવા રૂપાણીના રોલની વાત
પોલીસ કમિશનર રૂપાણીના ખાસ અધિકારી હોવાની વાત પણ જગજાહેર છે.જે-તે સમયે ગોવિંદ પટેલને અને રૂપાણીને ગજગ્રહ થયો હોવાનું સામે આવ્યું હતું.અગાઉ ગોવિંદ પટેલને મંત્રી પદ ન આપવા વિજયભાઈનો રોલ હોવાનું ચર્ચામાં હતું.ગોવિંદ પટેલ પાટીલના નજીક છે અને પાટીલ અને રૂપાણીનો ગજ ગજગ્રાહ પણ નજર અંદાઝ કરવા જેવો નથી.સમગ્ર મુદ્દે રાજકીય દાવ રમાય ગયો છે.ગોવિંદ પટેલે પત્ર પાર્ટીને લખ્યો હોવા છતાં મીડિયા સુધી પહોંચી ગયો છે અને આખી સરકાર દોડતી થઈ છે.
પોલીસ કમિશનર રૂપાણીની નજીક રહેશે તો એને તકલીફ પડશે એવું એ સમજી ગયા હશે એટલે થોડા દિવસ પહેલા પણ અંબા નામની દીકરી દત્તક લેવાના કાર્યક્રમમાં રૂપાણી હાજર હોવા છતાં પોલીસ કમિશનર રૂપાણી ગયા પછી આવ્યા હતા.અંબાને પોલીસ દત્તક લીધી તે કાર્યક્રમમાં પોલીસની મહત્વની ભૂમિકા હોવા છતાં પોલીસ કમિશનરની રૂપાણી ગયા પછી હાજરી જોવા મળી હતી.
લેટર બોમ્બ ફોડી પટેલે રાજકોટ પોલીસની સત્યતા ઉજાગર કરી
અગાઉ પણ ગોવિંદ પટેલે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી પણ હવે શું પગલાં લેશે એ ગૃહ મત્રી જાણે તેવું ગોવિંદ પટેલ જણાવ્યું હતું.રાજકોટની પ્રજાની જગ જાહેર વાત છે કે, પોલીસ ફરિયાદ લેવાનું ટાળે છે,માત્ર અરજી લઈને સંતોષ માને છે પણ બોલે કોણ.ગોવિંદ પટેલે આજે લેટર બોમ્બ ફોડી રાજકોટ પોલીસ અને પોલીસ કમિશનરની સત્યતા ઉજાગર કરી છે.


