સુરત : ગુજરાતમાં રોજે રોજ એક યા બીજા કારણે ચર્ચામાં રહેતી AAPમાં સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી જોડાયા છે.સૌરાષ્ટ્રના પહેલાં જ રાજકીય પ્રવાસ દરમિયાન મહેશ સવાણી અને તેમના સાથી નેતાઓ પર હુમલો થયો હતો.જેના પડઘાં હજુ શાંત પડ્યા નથી,
ત્યારે મહેશ સવાણીએ પોતાના રાજકીય જીવનથી લઈને ભાજપના નેતાઓ,ધારાસભ્યો,આરોગ્યમંત્રીની કામગીરી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અંગેની વાત કરી હતી.સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર વખતે સેવા ફાઉન્ડેશન દ્વારા વતનની વ્હારે નામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જેમાં સેવાના કાર્યને લીલીઝંડી આપવા માટે પાટીલને આમંત્રણ અપાયું હોવાનું કહેતા મહેશ સવાણીએ કહ્યું કે, એ વખતે સી.આર.પાટીલે કહેલું કે, તમે સૌરાષ્ટ્ર વાળા બધા આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો છો.મહેશભાઈ તમે આપને ચૂંટણી જીતાડવા માટે ફંડ આપો છો.એટલે એવા કાર્યક્રમમાં હવે હું ત્યાં નહીં આવું.જે સાંભળી ખૂબ દુઃખ થયું હોવાનું મહેશ સવાણીએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં તેમજ રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ભાજપ સરકારની કામગીરીને લઇને જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો હોવાનું કહેતા મહેશ સવાણીએ કહ્યું કે,સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી મેં જોયું છે કે, લોકો કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાજ્ય સરકારની જે નીતિઓ હતી.તેને કારણે ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે.જેનાથી લોકોમાં ભાજપના સત્તાધીશો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.લોકોમાં નારાજગીની ચરમસીમા દેખાઈ રહી છે.
મહેશ સવાણીએ કહ્યું કે, કોરોના સંક્રમણ કાળ દરમ્યાન સૌરાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ નાજુક હતી.તે સમય દરમિયાન સેવા ફાઉન્ડેશન થકી સૌરાષ્ટ્રમાં વિવિધ સુવિધાઓ ઉભી કરવા માટેનું આયોજન હતું.સુરતથી 300 જેટલી ગાડીઓ સૌરાષ્ટ્ર રવાના થતી હતી, ત્યારે તેમને લીલીઝંડી બતાવવા માટે મેં તેમને(સી.આર.પાટીલ)ને કોલ કર્યો હતો.પરંતુ દુઃખ સાથે જણાવો પડે છે કે,તેમણે મને એક રાજકીય નેતા તરીકે ખૂબ જ ખરાબ જવાબ આપ્યો હતો.જેનો આઘાત આજે પણ છે.સીઆર પાટીલે કહ્યું કે, તમે આમ આદમી પાર્ટીના સેન્ટર અને મદદરૂપ થઇ રહ્યાં છો.આપની કામગીરીને તમે વધારે મજબૂત બનાવી રહ્યા છો.કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન પણ તમે આમ આદમી પાર્ટીને ફંડ આપ્યું છે.તેથી એવા વિસ્તારમાં હું લીલીઝંડી બતાવવા માટે આવવાનો નથી.
કદાચ એવું લાગ્યું હશે કે, અમે આમ આદમી પાર્ટીને ફંડ આપ્યું છે.પરંતુ સાચી હકીકત એ છે કે, મેં એમને ફંડ પણ નહોતું આપ્યું અને કોઈપણ રીતે મદદ નથી કરી.છતાં પણ મારા ઉપર ખોટો આક્ષેપ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો. કોઈપણ જાતના પૂરાવા વગર ખોટા આક્ષેપો કરી જતા રહ્યા..મને એવું લાગે છે કે, તેઓએ ક્યારેય પણ મને પોતાનો માન્યો જ નથી.
સૌથી મોટી સરકારની નિષ્ફળતા અંગે સવાણીએ કહ્યું કે, ધોરણ ચાર ભણેલા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જેવાને આરોગ્ય મંત્રી બનાવી દીધા હતા.કોરોના જેવી ગંભીર મહામારીને કોઈ રીતે મદદરૂપ થઇ શક્યા નથી.જય નારાયણ વ્યાસ જેવા સક્ષમ વ્યક્તિ આરોગ્ય મંત્રી તરીકે શોભે છે.જે આરોગ્ય મંત્રી એવું કહેતો હોય કે હું પોતે ઇન્જેક્શન શોધી રહ્યો છે.તેમની પાસે પ્રજા શું અપેક્ષા રાખી શકે.કુમાર કાનાણી માટે રાજ્યની વાત તો બહુ દૂર રહી પરંતુ તેઓ તો સુરત શહેરમાં જ નિષ્ફળ થયા. એટલું જ નહીં તે તો વરાછા પણ સાચવી શક્યા નથી.પોતાની ઘરની આસપાસના લોકોને પણ તેઓ ઈન્જેક્શન આપવામાં નિષ્ફળ થયા છે.એ પ્રકારની તેમની કામગીરી રહી છે.સૌરાષ્ટ્રથી સુરતમાં આવેલા તેમના વિસ્તારના લોકોને તેઓ સમયસર ઓક્સિજન અને ઇન્જેક્શન પણ અપાવી શકતા ન હતાં.કેટલાય વલખા મારવા પછી માંડ માંડ વ્યવસ્થાઓ થઈ.જે થોડી ઘણી વ્યવસ્થા થઈ છે તેવી સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.
ભાજપના નેતાઓ ગ્રાઉન્ડ ઉપર ઓછાને સોશિયલ મીડિયા ઉપર વધારે સેવા કરતા દેખાય છે.એક ઉદાહરણ આપું કે, હર્ષ સંઘવી તેમના વિસ્તારમાં ખૂબ સારા કામ કર્યા છે.પરંતુ તેઓ સતત એવું કહેતાં જોવા મળી રહ્યા છે કે, અમે લોકોને જમાડ્યા ત્યારે મેં એમને સ્પષ્ટ કર્યું છે કે, તમે નથી જમાડ્યાં,સામાજિક સંસ્થાઓએ જમાડ્યા છે.તમે તો માત્ર લોકોના નામે બીલો પાડ્યા છે.હર્ષ સંઘવી માટે કહેવું હોય તો વ્યક્તિગત રીતે હું માનું છું કે, એ વ્યક્તિ કાચીંડા જેવો છે સમય અને સ્થિતિ જોઈને રંગ બદલવા માહિર છે આ ધારાસભ્ય.હર્ષ ઉપર ક્યારેય ભરોસા ન રાખી શકાય.
સૌરાષ્ટ્રમાં સરકાર દ્વારા સંક્રમણને કારણે જે મોતના આંકડા આપ્યા છે. તેને લઈને ખૂબ દુઃખ છે.અમે જન સંવેદના કાર્યક્રમ અંતર્ગત જેટલા પણ લોકો કોરોના સંક્રમણમાં મોતને ભેટયા છે.તેની યાદી એકત્રિત કરી રહ્યા છીએ.કઈ સુવિધાના અભાવે તેમનું મોત થયું છે તેની વિગતવાર માહિતીઓ એકત્રિત કરી રહ્યા છીએ.કોરોના સંક્રમણને કારણે મોતને ભેટેલા પરિવારોને મળીને તેમના ઘરેથી અમે માટે એકત્રિત કરી રહ્યા છીએ અને એ તમામ માટે એકત્રિત કરીને વિધાનસભામાં સ્મારક બનાવવાના છીએ, એટલું જ નહીં અમારા ઉપર સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જે હુમલા થયા છે.તે હુમલામાં જે પથ્થરો મારી ગાડીમાં આવ્યા છે.તે પથ્થરનો પણ ઉપયોગ સ્મારક બનાવવામાં કરીશું.
આગામી સમયમાં” મહિયરની ચુંદડી “સમૂહ લગ્નનું આયોજન કરનાર છીએ. સમૂહ લગ્નનું આયોજન અને રાજકીય નહીં પરંતુ સામાજિક કાર્યક્રમ હોય છે.ભૂતકાળમાં પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓને આમંત્રણ પાઠવ્યું હતું અને તેઓ હાજરી આપતા પણ હતાં.આ વખતે પણ હું અરવિંદ કેજરીવાલજી,વિજય રૂપાણી સહિતના તમામ ભાજપ-કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના નેતાઓને આમંત્રણ આપવાનો છું જેને અનુકૂળતા હશે તે પધારશે એવી મને આશા તેમ વધુમાં મહેશ સવાણીએ ઉમેર્યું હતું.