ગુજરાત ભાજપમાં વિતેલા સપ્તાહમાં બનેલી ઘટનાઓ અંગે કાર્યકરો,રાજનેતાઓ અને આમ જનતામાં અનેક પ્રકારના તર્કવિતર્ક ચાલી રહ્યા છે,વાસ્તવમાં પક્ષ પ્રમુખ સી.આર. પાટીલ સામે ફરતી થયેલી પત્રિકા,પેનડ્રાઇવ અને પત્ર ફરતા કરનારાઓને ઝડપી લીધા પછી સમગ્ર ષડયંત્ર પાછળ દોરીસંચાર કરનારાના પોલીસ તપાસમાં બહાર આવેલા નામોથી ગાંધીનગર,કોબાથી લઇને છેક દિલ્હી સુધી આંચકો અનુભવાયો છે.સુરત સહિત દક્ષિણ ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના બે મળી કુલ પાંચ પૂર્વ મંત્રીઓની સીધી-આડકતરી ભૂમિકાની વિગતો બહાર આવી છે.જોકે, હાલ આ મામલે રાષ્ટ્રીય નેતૃત્ત્વના જ આદેશ પછી આગળની રાજકીય કાર્યવાહી હાથ ધરાશે એ સ્પષ્ટ છે.
અહેવાલ અનુસાર, ગયા મહિને એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો અને એમાં દેખાતા વ્યક્તિએ ભાજપ પ્રમુખ પાટીલ સામે કેટલાક આર્થિક વ્યવહારોના આરોપ મૂક્યા હતા.આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી વીડિયોમાં દેખાનાર વ્યક્તિ અને એની પાછળ દોરીસંચાર કરનારાઓની એક પછી એક ધરપકડ કરવાની શરૂઆત કરી હતી.આ તપાસ ચાલી રહી હતી,એવામાં આગળનો ઘટનાક્રમ આકાર પામે છે. એમાં ભાજપના તમામ પદાધિકારીઓ,ધારાસભ્યો અને સાંસદોના સરનામા પર એક વાદળી કલરના કવરમાં પત્ર,પેનડ્રાઇવ પહોંચે છે,એમાં વધુ ચોંકાવનારા આરોપો પાટીલ અને અન્ય કેટલાક લોકો સામે કરવામાં આવ્યા હતા.આથી તત્કાળ સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઇએ વધુ એક ફરિયાદ નોંધાવી હતી.આમ, બે ફરિયાદોને ગંભીરતાથી લઇ સુરત પોલીસે સમગ્ર પગેરું દબાવ્યું હતું.એમાં પૂર્વ મંત્રી અને પાટીલના મતવિસ્તાર માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના પીએ રાકેશ સોલંકી,ખુમાનસિંહ પટેલ અને દીપુ યાદવને ઝડપી લીધા હતા.આ જ રીતે વીડિયોમાં દેખાય છે એ અને અન્ય વીડિયો પણ ક્યાં તૈયાર કરાયા હતા એની તમામ વિગતો,વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે.
આ તમામે ક્યાંથી પત્ર ટાઇપ કર્યો,કેટલી કોપી કઢાવી,ક્યાંથી પેનડ્રાઇવ ખરીદી અને કોને આ કવરો પોસ્ટ કરવાની કામગીરી સોંપી હતી એની કબૂલાત કરી હતી.આની સાથોસાથ આમ કરવા પાછળ કોણે પ્રેરિત અને સૂચના આપી હતી એની જાણકારી પોલીસને આપી હતી.સૌરાષ્ટ્રના એક મંત્રી બનેલા વગદાર આગેવાનની પણ સુરતમાં અવારનવાર મુલાકાતોએ રાજનેતાઓમાં ખાસ્સી ચર્ચા જગાવી હતી.કહે છે કે, આની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અન્ય કેટલાક આગેવાનો,મંત્રીઓએ પણ ગોઠવણો પાર પાડી હતી.આ ગોઠવણો પાર પડે એ પહેલાં જ હાલની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે થોડા સમય પહેલાં જ સુરતની એક ટીપીને રદ કરી દીધી હતી.આથી આ લોકોની મુરાદ અધૂરી રહી જવા પામી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
હવે રાષ્ટ્રીય નેતૃત્ત્વના આદેશ પર બધો મદાર
હાલ તો મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું પ્રકરણ બહાર આવ્યું છે એની સાથે હવે લોકસભાની ચૂંટણીની આગળની તૈયારીઓમાં સંગઠનને વધુ સક્રિય કરવા તરફ નેતૃત્ત્વએ ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કર્યું છે,પણ જેમની સામે શંકાની સોય છે એવા રાજનેતાઓને હમણાં સંવેદનશીલ કામકાજ સોંપાશે નહીં એ નિશ્ચિત છે.હાલ તેમની સામે કોઇ દેખીતા પગલાં લેવામાં આવે તેવી શક્યતા નજીકના ભવિષ્યમાં નથી એમ છતાં સઘળો આધાર રાષ્ટ્રીય નેતૃત્ત્વ પર છે.
વસાવાને માફીનામું લખવાની કેમ જરૂર પડી ?
આ જાણકારી અને પછી દોરીસંચાર કરનાર પૂર્વ મંત્રી ગણપત વસાવાએ પ્રમુખ પાટીલને મળી પોતાના કારનામાનો ચીઠ્ઠો અને માફીનામુ લખીને આપ્યું હતું.સ્વાભાવિક છે કે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારમાં શિક્ષિત આદિવાસી આગેવાન તરીકે કરેલી કામગીરીથી આકર્ષાઇને વસાવાને ધારાસભ્ય,મંત્રી અને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. ૨૦૨૨ની ચૂંટણીમાં મોટાભાગના મંત્રીઓને પડતાં મૂકાયા ત્યારે વસાવાને ટિકિટ મળી હતી એમ છતાંય આવુ પગલું ભરવા પાછળ અન્ય કોઇ હોઇ શકે એવી આશંકા વધારે મજબૂત થઇ હતી.આખરે સાંયોગિક પુરાવા,વિગતો,માહિતી પછી પક્ષ અને પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતોએ ભૂકંપ સર્જી દીધો છે.