નવી દિલ્હી : તા.16 જુલાઈ 2022,શનિવાર : ગત તા.15 જુલાઈ 2022ના રોજ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(CUET)લેવાઈ હતી.દેશની બીજી સૌથી મોટી પરીક્ષા માટે આશરે 14.9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પરીક્ષાને સવારે અને બપોરે એમ 2 શિફ્ટમાં વહેંચવામાં આવી હતી.
જે વિદ્યાર્થીઓ તા.15 જુલાઈના રોજ CUETની પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે આ વર્ષે ફરી પરીક્ષા નહીં લેવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે.જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તેમના માટે ફરી રી-ટેસ્ટનું આયોજન કરવામાં આવશે તેવી અટકળો લગાવાઈ રહી હતી.પરંતુ UGCના ચેરમેન એમ જગદીશ કુમાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.પરીક્ષાના કેન્દ્રમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવામાં આવતા અનેક આશાસ્પદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું ચૂકી ગયા હતા અને તેમની આ વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે.આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ CUETની પરીક્ષાનું આયોજન કર્યું છે.