દેશમાં કોરોના વાયરસની સેકન્ડ વેવ ભારત માટે ઘાતક સાબિત થઇ છે.આ મામલાને લઇ સોમવારે મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઇ.હાઈકોર્ટે કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચને જવાબદાર ગણાવ્યું છે, કારણ કે ચૂંટણી પંચે કોરોના સંકટ હોવા છતાં ચૂંટણી રેલીઓ પર રોક લગાવી નહોતી. જેમાં હાઈકોર્ટે ચૂંટણી પંચના અધિકારીઓ પર મર્ડર ચાર્જ લગાવવાની વાત કહી.
મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચ પર કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન રાજકીય રેલીઓને પરવાનગી આપવાને લઇ ફટકાર લગાવી છે.મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનર્જીએ એક સુનાવણી દરમિયાન કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપો પર કેસ દાખલ કરવો જોઇએ.કોર્ટના મામલાની વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તમારી સંસ્થા કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર છે.મદ્રાસ હાઈકોર્ટે ચેતવણી આપી છે કે જો 2મેના રોજ ઈલેક્શન કમિશન(ચૂંટણી પંચ) કોરોના પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે યોગ્ય યોજના ન બનાવી તો મતગણતરી પર તરત રોક લગાવી દેવામાં આવશે.
કોઇ વ્યક્તિ જીવિત રહેશે તો પોતાના લોકતાંત્રિક અધિકારોનો લાભ લઇ શકશે
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે ચૂંટણી પંચને કહ્યું કે, લોકોનું સ્વાસ્થ્ય સૌથી વધારે અગત્યનું છે અને એ ચિંતાજનક છે કે બંધારણીય અધિકારીઓને આ પ્રકારની વાતો યાદ અપાવવી પડી રહી છે.જ્યારે કોઇ વ્યક્તિ જીવિત રહેશે ત્યારે તે પોતાના લોકતાંત્રિક અધિકારોનો લાભ લઇ શકશે.
મુખ્ય ન્યાયધીશે કહ્યું કે, સ્થિતિ હવે અસ્તિત્વ અને સુરક્ષાની છે. ત્યાર પછી બીજી બધી વાત આવે છે.સુનાવણી દરમિયાન રાજ્યના સ્વાસ્થ્ય સચિવની સલાહ પછી હાઈકોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો કે મતગણતરીના દિવસે કોરોના પ્રોટોકોલ લાગૂ કરવાની યોજનાને 30 એપ્રિલના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.હાઈકોર્ટમાં જ્યારે ચૂંટણી પંચે જવાબ આપ્યો કે તેમના દ્વારા કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું, મતદાનના દિવસે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.જેના પર મુખ્ય ન્યાયાધીશે નાખુશ થઇ ચૂંટણી પંચને પૂછ્યું કે, શું તમે કોઇ અન્ય ગ્રહ પર હતા જ્યારે ચૂંટણી રેલીઓ આયોજિત કરવામાં આવી હતી?
ચૂંટણી પ્રચાર દરમિયાન વધ્યો કોરોનાનો કેર
તમને જણાવી દઇએ કે, દેશના પાંચ રાજ્યોમાં કોરોના સમયમાં ચૂંટણી થઇ રહી છે.ચાર રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે, જ્યારે બંગાળમાં હજુ પણ મતદાન ચાલી રહ્યું છે.ચૂંટણીવાળા રાજ્યોમાં મતદાન ખતમ થયા પછી કોરોનાના કેસો વધવાને કારણે પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે.
ભારતની વાત કરીએ તો રોજ દેશમાં 3.5 લાખથી વધારે કેસો સામે આવી રહ્યા છે. સ્થિતિ કાબૂ બહાર ચાલી ગઇ છે.દિલ્હીથી લઇ મુંબઈ,બેંગલોર,અમદાવાદ,સુરત,લખનૌ અને કોલકાતા જેવા શહેરોમાં બેડ્સની અછત જોવા મળી રહી છે.ઓક્સિજનના અછતનું સંકટ આખા દેશમાં જોવા મળી રહ્યું છે અને તેને લઇ દર્દીઓની સ્થિતિ કફોડી બની છે.

