મુંબઈ : તા.24 જૂન 2022,શુક્રવાર : આસામના ગુવાહાટીમાં શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેનો કેમ્પ મજબૂક થતો નજર આવી રહ્યો છે.હજુ વધુ ધારાસભ્યોનો સમૂહ પણ જોડાય શકાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.મહત્વની વાત એ છે કે,તેમાંથી કેટલાક ધારાસભ્યો એવા પણ છે જે ED અથવા IT વિભાગની તપાસનો સામનો કરી રહ્યા છે.શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ તપાસ દ્વારા તેમને હેરાન કરવાનો પણ આરોપ લગાવી ચૂક્યા છે.
તેની શરૂઆત પ્રતાપ સરનાઈકથી કરીએ.બુધવારે શિંદે કેમ્પ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તે સૌથી વધારે સક્રિય નજર આવી રહ્યા હતા.ઓવાલા-માજીવાડાના ધારાસભ્યની વિરુદ્ધ 175 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલે તપાસ ચાલી રહી છે.મહત્વની વાત એ છે કે,સરનાઈક જ પહેલા એવા નેતા છે જેમણે જાહેરમાં મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને ભાજપ સાથે તણાવ સમાપ્ત કરવા કહ્યું છે.થાણેમાં રિયલ એસ્ટેટના મોટા ખેલાડી કહેવાતા સરનાઈકની EDએ રૂ. 11.35 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.
ભાયખલાના ધારાસભ્ય યામિની જાધવના પતિ યશવંત જાધવ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.તેમની સામે FEMAના કથિત ઉલ્લંઘન સબંધી મામલે ED તપાસ કરી રહી છે.બીજી તરફ EDની તપાસ પહેલા આવકવેરા અધિકારીઓએ કરચોરીના આરોપમાં જાધવ પરિવારના બાંદ્રામાં એક ફ્લેટ અને યશવંતની લગભગ 40 મિલકતો અટેચ કરી હતી.
ત્રીજુ નામ શિવસેના સાંસદ ભાવના ગવલીનું છે.મળતી માહિતી પ્રમાણે તે પણ શિંદે સમૂહના સમર્થનમાં આવી ગઈ છે.તેમણે સોમવારે ઠાકરેના નામે એક પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે,શિંદે ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવેલી સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.ગવલીની સામે મની લોન્ડ્રિંગની તપાસ ચાલું છે.તેમના એક નજીકના વ્યક્તિ સઈદ ખાનની EDએ ધરપકડ કરી છે.આ સાથે જ તેમની 3.75 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે.