વડોદરાનો નાગરવાડા વિસ્તાર બન્યો કોરોનાનો એપીસેન્ટર, આજે વધુ 18 પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર

306

કોરોના વાયરસે હવે રાજ્યમાં પોતાનો પ્રભાવ પાડવાનું શરૂ કરી દીધો છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં બીજા નવા કોરોનાના વધુ 54 કેસ નોંધાયા છે. જેમાં તેની સાથે જ હવે ગુજરાતમાં કુલ આંકડો 432 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં આજે બીજા 31 કેસ સામે આવ્યા છે. અમદાવાદ બાદ હવે વડોદરામાં કોરોનાનો કહેર જોવા મળ્યા છે. આજે વડોદરામાં વધુ 18 કેસ પોઝિટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના 77 કેસ નોંધાઈ ચૂક્યા છે.

વડોદરાનો નાગરવાડા વિસ્તાર શહેર માટે ભયાનક બની રહ્યો છે. 77 કેસમાંથી એકલા 65 કેસ નાગરવાડા વિસ્તારના છે. જેના કારણે નાગરવાડા વિસ્તારને તંત્રએ રેડઝોન જાહેર કરીને પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. વડોદરામાંથી દરરોજ 200 સેમ્પલ લઈને લોકોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કૂદકેને ભૂસકે વાયરસની અસર જોવા મળી રહી છે.

વડોદરામાં કોરોના વાયરસનો કુલ આંક 77 પહોંચતા લોકોમાં ડરનો માહોલ બનેલો છે. વડોદરાના પાણીગેટ બહાર આવેલા મંદિર નજીક લોકોની અવર જવર માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવ્યા હતા. જેના કારણે સ્થિતિ વણસી હતી. પોલીસે આ ઘટનામાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 2 મહિલાઓનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે બંદોબસ્ત જાળવી રાખ્યો છે અને અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

વડોદરામાં આરોગ્ય વિભાગ પાસે ગુરુવારે કોરોનાના 250 રિપોર્ટ પેન્ડિંગ હતા તે પૈકીના રિપોર્ટમાંથી શુક્રવારે સવારે 8 અને સાંજે બીજા 12 એમ કુલ કોરોનાના 20 રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. આ સાથે જ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 59 પર પહોંચી ગયો છે. એટલું જ નહીં આ પૈકીના 81 ટકા કેસો તંત્ર દ્વારા કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરાયેલા નાગરવાડા વિસ્તારના છે. શુક્રવારે સવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં 19 નાગરવાડા વિસ્તારના અને એક આજવા રોડ વિસ્તારની બહાર કોલોનીનો હતો. આજે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હવે કુલ 77 કેસોમાંથી 65 કેસ નાગરવાડાના થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 31 કેસ અમદાવાદમાં, 18 કેસ વડોદરામાં, 3 કેસ આણંદમાં, સુરત અને ભાવનગરમાં 1-1 નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 432એ પહોંચ્યો છે. જ્યારે 19 લોકોના મોત નીપજ્યા છે. તો 33 લોકો સાજા થયા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. નોંધનીય છેકે, ક્લસ્ટર કરવામા આવેલા વિસ્તારોની સાથે સાથે હવે ભરૂચ જેવા નવા જિલ્લાઓમાં પણ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

Share Now