
અનિલ અંબાણીની મુશ્કેલી વધી શકે છે.નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ અનિલ અંબાણી સામે નાદારીની કાર્યવાહી આગળ વધારવા માટે મંજૂરી આપી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) 1200 કરોડની લોન ભરપાઈ ન કરી શકવાના કારણે તેમની સામે આ આદેશ આવ્યો છે.
શું વાત છે
નોંધનીય છે કે સ્ટેટ બેંકે વર્ષ 2016 માં અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ) અને રિલાયન્સ ઇન્ફ્રાટેલ (આરઆઇટીએલ) ને આ લોન આપી હતી.અનિલ અંબાણીએ આ લોન માટે 1200 કરોડ રૂપિયાની વ્યક્તિગત ગેરંટી આપી હતી. હવે બંને કંપનીઓ બંધ થઈ ગઈ છે. આને કારણે એસબીઆઇને મુંબઈ એનસીએલટીમાં અપીલ કરવી પડી હતી. બેંકે માંગ કરી હતી કે નાદારી કાયદા મુજબ આ રકમ અનિલ અંબાણી પાસેથી વસૂલ કરવાની છૂટ આપવી જોઈએ કારણ કે તેણે આ લોનની વ્યક્તિગત ગેરંટી આપી છે.
શું કહ્યું એનસીએલટી
એનસીએલટી મુંબઈએ પોતાની ટિપ્પણીમાં કહ્યું, ‘આરકોમ અને આરઆઇટીએલ બંનેએ જાન્યુઆરી 2017 માં લોનની ચુકવણી પર ડિફોલ્ટની જાહેરાત કરી છે.તેના ખાતામાં 26 ઓગસ્ટ 2016 થી નોન પરફોર્મિંગ એસેટ જાહેર કરવામાં આવી હતી.મહત્વનું છે કે, 2019 ની શરૂઆતમાં, આરકોમે નાદારી માટે અરજી કરી હતી અને કહ્યું હતું કે તેના પર લગભગ 33,000 કરોડ રૂપિયાનું દેવું છે. જો કે, બેંકોનું કહેવું છે કે તેઓ આરકોમ પર ઓગસ્ટ 2019 સુધી 49,000 કરોડ રૂપિયા બાકી છે.
આ વર્ષે માર્ચમાં એસબીઆઈ બોર્ડે આરકોમ માટે એક સોલ્યુશન પ્લાન રજૂ કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે બેન્કો આશરે 50 ટકાની છૂટ આપતી વખતે 23,000 કરોડ રૂપિયાની વસૂલાત કરશે.