સુરતથી ભાવનગર જતી ઇકો તારાપુર પાસે ટ્રક સાથે અથડાતાં 10નાં કમકમાટીભર્યા મોત, 1 બાળકી પણ સામેલ

288

– મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
– અકસ્માતને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

આણંદ : આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે.અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં છે.ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા.અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરતાં PI અને DYSP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને મૃતકોને ગાડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ અકસ્માત તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે.સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે.અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે.ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.

જોકે હાલ આ પરિવાર કોણ છે એની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો અને તમામ મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.ગત મહિને 21 મેના રોજ પાલનપુર તાલુકાના રતનપુર પાસે લગ્નપ્રસંગથી પરત આવી રહેલા પરિવારને કાળ ભરખી ગયો હતો.મોડી રાત્રે ઇકો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં,જ્યારે 4 લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યમાંથી 3 સભ્યનાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતાં,મૃતકોને પીએમ અર્થે ખસેડી પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share Now