મોદી સરકારે આપી ગુરૂ પર્વની ભેટ, બુધવારથી ફરી ખુલશે કરતારપુર સાહિબ કોરિડોર

273

નવી દિલ્હી : ગુરૂ પર્વ પહેલા શીખ સમુદાયના શ્રદ્ધાળુઓ માટે મોદી સરકારે સારા સમાચાર આપ્યા છે.ગુરૂ પર્વને ધ્યાનમાં રાખતા મોદી સરકારે 17 નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરી ખોલવાનો નિર્ણય લીધો છે.ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ખુશખબર આપી છે અને કહ્યું કે, તેનાથી મોટી સંખ્યામાં શીખ તીર્થાત્રીકોને ફાયદો થશે.તેમણે કહ્યું કે આ નિર્ણય શ્રી ગુરૂ નાનક દેવ જી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર શ્રદ્ધાને દર્શાવે છે.ઉલ્લેખનીય છે કે કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન પીએમ મોદીએ 2019માં કર્યું હતું.

હકીકતમાં એક દિવસ પહેલા પંજાબ ભાજપના નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને ગુરૂદ્વારા કરતારપુર કોરિડોરને ખોલવાની માંગ કરી હતી.પ્રતિનિધિમંડળે 19 નવેમ્બરે ગુરૂ નાનક જયતી પહેલા આ કોરિડોરને ખોલવાનો આગ્રહ કર્યો હતો, જેથી શ્રદ્ધાળુ પાકિસ્તાન સ્થિત ગુરૂદ્વારામાં જઈને માથુ ટેકવી શકે.પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરનાર પ્રતિનિધિમંડળમાં પ્રદેશ અધ્યક્ષ અશ્વિની શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, મહાસચિવ તરૂણ ચુગ અને દુષ્યંત ગૌતમ સહિત અન્ય નેતાઓ સામેલ થયા હતા.મહત્વનું છે કે કોરિડોર કોરોના મહામારી શરૂ થયા બાદથી બંધ છે.

જો રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો ભાજપને મળી શકે છે.આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી હતી કે કરતારપુર કોરિડોર ફરી ખોલવામાં આવે. તેમણે ભલામણ કરી હતી કે આ મહિને શીખ ગુરૂ નાનક દેવની જયંતિ અને પ્રકાશ પર્વને જોતા કરતારપુર કોરિડોરને ફરી ખોલવામાં આવે.પાછલા મહિને મુખ્યમંત્રીએ પીએમ મોદી અને અમિત શાહને પત્ર લખી કહ્યુ હતુ કે શ્રદ્ધાળુઓને ગુરૂદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવે.

ક્યારે થયું હતું કોરિડોરનું ઉદ્ઘાટન

આ કોરિડોરનું ઉદ્ઘાટન 9 નવેમ્બર 2019ના કરવામાં આવ્યું હતું.ઓગસ્ટના મહિનામાં પાકિસ્તાને ભારત સહિત 11 દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો.ડેલ્ટા વેરિએન્ટના પ્રકોપને કારણે પાકિસ્તાને 22 મેથી લઈને 12 ઓગસ્ટ સુધી ભારતને સી કેટેગરીમાં રાખ્યું હતું. 16 માર્ચ 2020ના ભારત અને પાકિસ્તાને કોરોનાને જોતા અસ્થાયી રીતે કરતારપુર સાહિબની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો.

Share Now