
- ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયા છે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી નથી મળી
નવી દિલ્હી,તા. 01 જાન્યુઆરી,શનિવાર : નવા વર્ષમાં માતા વૈષ્ણોદેવી મંદિરમાં થયેલી દુ:ખદ ઘટનાના સમાચાર હજુ પૂરી રીતે સામે પણ નથી આવ્યા ત્યાં તમિલનાડુમાં એક બીજી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં મોટી આગ લાગી છે.આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે અને 5 લોકો ઘાયલ થયા છે.સવારના સમયે બનેલી આ દુર્ધટના બાદ પોલીસ અને ફાયર વિભાગનું રાહત કાર્ય હજુ પણ સ્થળ પર ચાલુ છે.જિલ્લા કલેક્ટર મેઘનાથ રેડ્ડીએ જણાવ્યું કે,આ દુ:ખદ ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા છે અને 5 લોકો ઘાયલ થયા છે.રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.
આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસની એક ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.ફેક્ટરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.ફેક્ટરીમાં કેટલા લોકો ફસાયા છે તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી.