પંજાબમાં ભગવંત માન હશે આપના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત

364

દિલ્હી :  આમ આદમી પાર્ટીએ પંજાબમાં સીએમ પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.પંજાબમાં ભગવંત માન પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ જાહેરાત કરી છે.ભગવંત માનના નામની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે,અમે પંજાબના લોકોના અભિપ્રાયના આધારે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કર્યો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે,જો મેં ભગવંત માનને સીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હોત તો લોકો કહેતા કે અરવિંદ કેજરીવાલે ભાઇ-ભત્રીજાવાદ કર્યો છે.એટલા માટે અમે ગયા અઠવાડિયે એક ફોન નંબર જારી કર્યો હતો જેથી પંજાબના ત્રણ કરોડ લોકોનો અભિપ્રાય લઈ શકાય.

કેજરીવાલે કહ્યું કે,અમારા દ્વારા જારી કરાયેલા નંબર પર 21 લાખ 59 હજારથી વધુ લોકોનો પ્રતિસાદ મળ્યો છે.તમામ સર્વે અને માહોલ જણાવી રહ્યા છે કે રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.આવી સ્થિતિમાં હવે જે મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે તે એક રીતે રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા લોકોએ તેમના પ્રતિભાવમાં મારું નામ નાખ્યું. અમે આને ફગાવી દીધા છે.આ પછી બાકીના 93 ટકા લોકોએ સરદાર ભગવંત સિંહનું નામ લીધું છે.

આ દરમિયાન આપના નેતાએ કોંગ્રેસ પર કટાક્ષ પણ કર્યા હતા.તેમણે કહ્યું કે લોકોએ અમને આપેલા અભિપ્રાયોમાંથી માત્ર 3 ટકા લોકોએ નવજોત સિંહ સિદ્ધુને સીએમ તરીકે તેમની પસંદગી આપી છે.

ઉલ્લેખનીય છે કે,પંજાબમાં વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ચૂંટણી પંચે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.પંજાબમાં વિધાનસભાની ચૂંટણી માટે અગાઉ 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું હતું,પરંતુ રાજ્ય સરકાર અને વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણીની તારીખ લંબાવવા વિનંતી કરી હતી.પંજાબની તમામ 117 સીટો પર 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન થવાનું હતું,પરંતુ હવે મતદાનની તારીખ લંબાવીને 20 ફેબ્રુઆરી કરવામાં આવી છે.

Share Now