ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના અભાવે દર્દીઓ પરેશાન

142

ધંધુકા : ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરનાં સ્ટાફની ખાલી જગ્યાનાં કારણે દર્દીઓ સારવારથી વંચિત રહેતા ધોલેરા ગામના ઉપસરપંચે અમદાવાદ જીલ્લા આરોગ્ય શાખામાં ડોક્ટરની ખાલી જગ્યા ભરવા માટે રજૂઆત કરી હતી.પી.એચ.સી.માં યોગ્ય સારવાર ન મળતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી.ધોલેરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૧૭ ગામો આવે છે.આ તાલુકાની વસ્તી ૬૪,૦૦૦ જેટલી છે.આ તાલુકાના ૧૭ ગામના લોકો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવે છે.તેમજ ધોલેરા આસપાસ છેલ્લા ૬ વર્ષથી વિવિધ કંપનીઓના કારીગરો પણ તાત્કાલિક સારવાર માટે ધોલેરા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં આવે છે ત્યારે લોકોને આ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ન હોવાથી ૩૦ કી.મી દુર સારવાર માટે જવુ પડે છે.જેના લીધે દર્દીઓના કિંમતી સમય અને પૈસાનો વ્યય થાય છે.બે વર્ષ થી એમ.બી.બી.એસ.ડોક્ટરની જગ્યા ખાલી પડી છે આ જગ્યા ઉપર વચ્ચે એક વાર ત્રણ મહિના પૂરતી જગ્યા ભરવામાં આવી હતી.પરંતુ ડોક્ટરે ચાર્જ સંભાળ્યો ન હતો તેમજ લેબોરેટરી ટેકનીશ્યનની જગ્યા ૧ વર્ષ અને ૭ મહિનાથી ખાલી છે.ફાર્માસીસ્ટની જગ્યા છ માસથી ખાલી છે.લોકોને લાંબા સમયથી સારવાર મળતી નથી અને સરકાર આરોગ્ય મેળા કરી બહારથી ડોક્ટરો લાવી એક દિવસ પૂરતું કામ બતાવે છે જે બાબતે ધોલેરા ગામના નવનિયુક્ત ઉપ સરપંચએ અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખાને ખાલી જગ્યા ભરવા પત્ર લખી માંગ કરી છે.તંત્ર દ્વારા ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની તાકીદે ભરતી કરવામાં આવે તો આ પંથકના ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને મોટી રાહત મળે તેમ છે.ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો ન હોવાને કારણે દર્દીઓ ખાનગી દવાખાને જવા મજબૂર બને છે.

Share Now