
નવી દિલ્હી : તા. 30 મે 2022, સોમવાર : વિશ્વમાં ચોખાની નિકાસ મામલે ટોચ પર રહેલા ભારત બાદ થાઈલેન્ડ અને વિયેતનામ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવે છે.એક અહેવાલ પ્રમાણે વિશ્વમાં ચોખાના આ બંને ટોચના ઉત્પાદકો સાથે મળીને ચોખાની કિંમતોમાં વધારો કરવા માટે ચર્ચા કરી રહ્યા છે.થાઈલેન્ડની સરકારના પ્રવક્તા Thanakorn Wangboonkongchanaએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, ‘અમે ચોખાની કિંમતો, ખેડૂતોની આવક અને વૈશ્વિક માર્કેટમાં બાર્ગેઈનિંગ પાવર વધારવાનું લક્ષ્ય રાખ્યું છે.છેલ્લાં 20 કરતા પણ વધારે વર્ષોથી ચોખાની કિંમોત નીચી છે જ્યારે તેના ઉત્પાદનના ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે.’ઘઉંની કિંમતો ટોચ પર છે તેવામાં ચોખામાં ભાવવધારો થવાના કારણે વિશ્વના અબજો લોકો પર તેનો દુષ્પ્રભાવ પડશે.
થાઈલેન્ડના વાણિજ્ય મંત્રી Jurin Laksanawisitએ જણાવ્યું કે,વૈશ્વિક ડિમાન્ડમાં રિકવરીના કારણે તથા તેમનું ચલણ અમેરિકી ડોલરની સરખામણીએ 5 વર્ષના તળિયે હોવાથી આ વર્ષે તેમના દેશની ચોખાની નિકાસને વેગ મળ્યો છે.જોકે વિયેતનામના કૃષિ મંત્રાલયે આ મામલે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું હાલ પૂરતું ટાળ્યું છે.આ તરફ વિયેતનામના ફૂડ એસોસિએશને તેમના થાઈ સમકક્ષો સાથે જૂન મહિનામાં યોજાનારી બેઠક પહેલા ભાવમાં વધારો કરવાના પગલાંની સંભાવનાને નકારી કાઢી છે.