કોરોના હજી ગયો નથીઃ કેન્દ્રની રાજ્યોને સાવધ રહેવા તાકીદ

114

નવી િદલ્હી : કોરોનાના વધતા જતા કેસોને જોતા સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યો સાથે ચર્ચા કરી હતી અને શાળાના બાળકોને રસી અપાવવા પર ભાર મૂક્યો હતો.આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યએ જીનોમ સિક્વન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.તેમણે જણાવ્યું હતું કે કોરોના હજુ ખતમ થયો નથી.ઘણા રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે.

માંડવિયાએ કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસો અને ઘટતા ટેસ્ટિંગ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આપણે એ ભૂલવું ન જોઈએ કે કોરોનાને લઈને શું સાવચેતી રાખવી જોઈએ.તેમણે કહ્યું હતું કે સમયસર પરીક્ષણ કરીને,કોરોનાને વધતો અટકાવી શકાય છે અને તેને લોકોમાં ફેલાતો રોકી શકાય છે.“હું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી કરું છું કે તેઓ પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે અને જીનોમ સિક્વન્સિંગને પણ પ્રોત્સાહન આપે જેથી કરીને નવા મ્યુટન્ટ્સ શોધી શકાય”,મંત્રાલયના નિવેદનમાં જણાવાયું હતું. તેમણે પાંચ પાયાવાળી વ્યૂહરચના પર વાત કરી હતી અને કહ્યું હતું કે ટેસ્ટ,ટ્રેક, ટ્રીટ,વેક્સિનેશન અને જાગૃતિ જ કોરોના સામે રક્ષણ આપી શકે છે.માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે,રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ પોતે રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એક મહિના સુધી વિશેષ ડ્રાઈવ ચલાવીને રસીકરણ કરાવવું જોઈએ.શાળાએ જતા બાળકોનું રસીકરણ પણ ખૂબ જ જરૂરી છે,તેથી 12 થી 17 વર્ષના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Share Now