મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ સંજય રાઉત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.નાસિક શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાઉતે શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.સોમવારે પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે પુનરોચ્ચાર કર્યો હતો કે શિવસેનાને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.સંજય રાઉતે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે શિવસેનાની રચના કરી હતી.આ દરમિયાન તેમણે કહ્યું કે અમિત શાહ મહારાષ્ટ્ર અને મરાઠીઓના સૌથી મોટા દુશ્મન છે.
રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેના પાર્ટીનું નામ અને તેના પ્રતીક ધનુષ અને તીર મેળવવા માટે 2000 કરોડ રૂપિયાની લેવડદેવડ થઈ હતી.ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને ‘ધનુષ અને તીર’ પ્રતીક ફાળવ્યાના દિવસો બાદ તેમનું નિવેદન આવ્યું હતું.સંજય રાઉતે કહ્યું હતું કે મેં મારા ટ્વીટ દ્વારા દેશને જાણ કરી છે.જે રીતે અમારું ચૂંટણી ચિહ્ન અને શિવસેનાનું નામ શિંદે જૂથને આપવામાં આવ્યું છે તે વ્યાજબી નથી,આ એક બિઝનેસ ડીલ છે જેના માટે 6 મહિનામાં 2000 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી છે અને આ મારું પ્રારંભિક અનુમાન છે.રાજ્યસભાના સભ્યએ કહ્યું કે તેમના દાવાને સમર્થન આપતા પુરાવા છે, જે તેઓ ટૂંક સમયમાં જાહેર કરશે.
સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી પર પણ કટાક્ષ કરતા કહ્યું કે, તેમણે અમિત શાહને ક્યારેય ગંભીરતાથી લીધા નથી.રાઉતનું નિવેદન અમિત શાહના તે નિવેદન બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પંચના નિર્ણય બાદ ‘સત્યમેવ જયતે’ની ફોર્મ્યુલા મહત્વપૂર્ણ બની ગઈ છે.તેમણે કહ્યું હતું કે, “અમિત શાહ જે પણ કહે છે તેને ક્યારેય ગંભીરતાથી લેવામાં આવતું નથી.જે લોકો ન્યાય અને સત્ય ખરીદવામાં માને છે તેમના વિશે આપણે શું કહી શકીએ? મહારાષ્ટ્રમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તે સમય આવશે ત્યારે બતાવીશું.