ગુજરાતમાં જ આગામી દિવસોમાં ભ્રષ્ટાચારનો એક મોટો રીપોર્ટ જાહેરમાં આવી શકે છે.રાજય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર એન્ડ કેમીકલ લી.માં રૂા.1500 કરોડના કોઈ ગેરરીતિવાળા વિદેશી મૂડીરોકાણ અને ખરીદી અંગે અરવિંદ અગ્રવાલે રાજય સરકારને સુપ્રત કર્યા છે અને અગ્રવાલે તેમના અગાઉના અધિકારીના સમયમાં આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હતી તેવું જણાવી એક મજબૂત રીપોર્ટ રાજય સરકારને સુપ્રત કરતા ટોચના વર્તુળોમાં જબરી સનસનાટી ફેલાઈ ગઈ છે અને રાજય સરકારે પણ સ્થિતિની ગંભીરતા જોતા આ રીપોર્ટ પર શહેરી વિકાસ વિભાગના એડી.ચીફ સેક્રેટરી જેઓ હવે આ નિગમના એમ.ડી. તરીકે પણ ઈન્ચાર્જ છે તેઓને તપાસ સોંપી છે.
અરવિંદ અગ્રવાલ જેઓ અગાઉ ચીફ સેક્રેટરી પદની રેસમાં હતા તેઓને ગાંધીનગર બહાર ખસેડીને આ નિગમનો હવાલો સોપવામાં આવ્યો હતો.અગ્રવાલ હાલમાં જ નિવૃત થયા છે પણ તેઓએ નિગમમાં વિદેશી રોકાણ અને ખરીદી મુદે રૂા.1500 કરોડનો ગોટાળો થયો હોવાનો અને રાજય સરકારની તિજોરીને મોટો ફટકો મારવામાં આવ્યો હોવાનો ધગધગતો રીપોર્ટ આપતા ગયા હતા જેના પર તપાસ હવે ફરજીયાત બની ગઈ છે અને હવે મુકેશ પુરીને આ જવાબદારી સોંપાઈ છે.જો આ રીપોર્ટમાં સત્ય જણાઈ તો અગાઉ ફરજ બજાવી ગયેલા ટોચના અધિકારી સામે કાર્યવાહી થઈ શકે છે.આ અહેવાલે ગાંધીનગરના ઉચ્ચ વર્તુળમાં જબરી ચર્ચા છે.એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભ્રષ્ટાચાર સામે કિલ્લેબંધી જેવી એક બાદ એક કાર્યવાહી કરી રહ્યા છે અને તંત્રમાં જબરી સાફસુફી ઓનલાઈન કામગીરીની પારદર્શકતાને મહત્વ આપી રહ્યા છે તે સમયે રૂા.1500 કરોડના આ સ્કેલના રીપોર્ટ આવતા જબરી ચહલપહલ છે.