નવીદિલ્હી,તા. 11 : ગુડસ એન્ડ સર્વિસ ટેક્સનું માસિક રિટર્ન મોડેથી ભરવા પર લેટ ફી માફ કરવાને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મતભેદ સર્જાઈ રહ્યા છે. ભાજપ શાસિત સહિત અનેક રાજ્યો લેટ ફી માફીનો વિરોધ કરી રહ્યા છે.આ રાજ્યોનુંં કહેવું છે કે જીએસટી રિટર્ન પરની લેટ ફી માફ કરવાથી તેમની આવક પર વિપરીત અસર પહોંચે તેવી શક્યતા છે.
જો કેન્દ્ર સરકાર ઇચ્છતી હોય કે લેટ ફી માફ કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તેના માટે વળતર ચૂકવવું પડશે.લેટ ફીથી જે કંઇ પણ આવક થાય છે તેનો અડધો ભાગ કેન્દ્રનો અનેબાકીનો ભાગ રાજ્ય સરકારનો હોય છે.સુત્રો અનુસાર,રાજ્યોની સહમતિ મળ્યા પછી જ આ મામલે કોઇ નિર્ણય લેવામાં આવશે.રાજ્યો અનુસાર,લોકડાઉનને કારણે આમ પણ તેમની આવકને મોટો ફટકો પડ્યો છે. એવામાં જો લેટ ફી માફ કરવામાં આવશે તો નુકશાનમાં વધારો થશે.
હાલમાં વેપારીઓ જીએસટી રિટર્ન પર લેટ ફી માફ કરવાને લઇને કેન્દ્ર સરકાર પર દબાણ કરી રહ્યા છે.આવતીકાલે 12 જૂનનાં રોજ મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં લેટ ફીને લઇને નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ બેઠકમાં કોવિડ-19થી અર્થતંત્ર,રાજ્યોની કમાણી પર અસર અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.વેપારીઓ ઇચ્છે છે કે જીએસટીની લેટ ફીને માફ કરી દેવામાં આવે અને આ જ બેઠકનો મુખ્ય મુદ્દો હશે તેવું એક અધિકારીએ જણાવ્યું હતું.