– 2500 કરોડ રૂપિયા રોકાણકારોના ઉસેટયા બાદ પણ મેળ ન આવતા લેબગ્રોન ડાયમંડ કંપનીએ હવે 15 કરોડ રૂપિયા રોકાણ કરો તો બે વર્ષ બાદ 45 કરોડ રૂપિયા રિટર્ન આપવાની લોભામણી સ્કીમ ફરતી કરી
– કથિત લેબગ્રોન ડાયમંડ કિંગ ચારેતરફથી ભીંસમાં મુકાયા છે,ત્યારે ચર્ચા છે કે બેંકના 300 કરોડ પરત કરવા રોકાણકારોને લોભામણી સ્કીમો આપી વધુ ફસાવવાના પેતરા રચાઈ રહ્યા છે : શું રોકાણકારો ફરી ફસાશે ?
– ઇન્કમટેક્ષના એક ભ્રષ્ટ અધિકારીએ 800 કરોડના ટેક્સ ઇવેઝનમાં કેટલા કરોડનો ખેલ પાડી ઉઠમણું કરનારા આ લેબગ્રોન કિંગને બચાવ્યા હતા ?
– છેલ્લા 20 દિવસ દરમ્યાન લેબગ્રોન ડાયમંડ કંપની ઉઠમણું કરે એવી ચર્ચા વચ્ચે લેણદારો પ્રેસર વધારી રહ્યાં છે,જેની સામે 1 થી 2 કરોડ રૂપિયા ચૂકવી મામલો થાળે પાડવા પ્રયાસ,પણ દિવાળી પહેલાં હીરાબજારમાં સૌથી મોટું ઉઠમણું આકાર લે એવી શક્યતા!
સુરત,તા.8 જુલાઈ 2023,શનિવાર : ( એડિટર : જિગર વ્યાસ ) : સુરત શહેરના હીરાબજારના સૌથી મોટા ઉઠમણાંનો ખેલ તેના આખરી પડાવ સુધી પહોંચી ચુક્યો હોવાનો ગણગણાટ છે.લેબગ્રોન ડાયમંડના નામે બે વર્ષ અગાઉ ધંધો શરૂ કરનારા કથિત કિંગનો ફુગ્ગો ગમે તે ઘડી એ ફૂટી શકે તેવી તમામ અટકળોને વેગ મળી રહ્યો છે.હવે હીરાબજારના વાતાવરણમાં ભર ચોમાસે ગરમાટો વ્યાપી રહ્યો છે.ચર્ચા અનુસાર છેલ્લાં 20 દિવસ દરમ્યાન રોકાણકારોએ ભીંસ વધારી દેતા લેબગ્રોન કંપનીએ રોકાણકારોને શાંત કરવા થોડી થોડી રકમ ચૂકતે કરવાનું શરુ કર્યું છે.જેમાં અદ્રશ્ય મશીનોમાં રોકાણકર્તાઓને મશીનમાં મોટો નફો આપવાની લોભામણી જાહેરાત કરી ખેલ પાડવામાં આવ્યો હતો એમ હવે નવી સ્કીમ લોન્ચ કરી વધુ રૂપિયા એકઠાં કરવાનો તખ્તો ડાયમંડ કિંગે રચ્યો હોવના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.
આ અંગે જાણકાર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતની ડાયમંડ લેબગ્રોન મશીનરી અને લેબગ્રોનનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની 400 કરોડ રૂપિયામાં કાચી પડી હોવાની વાતથી સુરતના હીરાઉદ્યોગમાં સન્નાટો પ્રસરી ચુક્યો છે.રોજબરોજ નવા પ્રકારણો ઉમેરાઈ રહ્યા છે.લેબગ્રોન મશીનરીમાં રોકાણ કરનારા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે આ કથિત ડાયમંડ કિંગે નવી સ્કીમ લોન્ચ કરી છે.જેમાં અગર હવે કોઈ રોકાણકાર તેની કંપનીમાં 15 કરોડ રૂપિયા રોકશે તો બે વર્ષ બાદ વળતરરૂપે 45 કરોડ રૂપિયા પરત આપવામાં આવશે.તદુપરાંત કો-ઓપરેટીવ બેંકના મોંઢે પણ તાળા લાગી લાગી ગયા છે,કારણ કે જો આ મામલો બહાર આવે તો કથિત ડાયમંડ કિંગ તો ઉઠમણું કરી હાથ ઉંચા કરી દેશે પણ બીજી તરફ બેંકને આર્થિક મોર્ચે મોટો ફટકો સહન કરવો પડી શકે એવી હાલત ઉભી થઇ છે.ત્યારે બેંકના વધતા દબાણ વચ્ચે ઘેટી બીજી જગ્યાએ ફસાઈ ન જવાઈ અને ઉઠમણાંનો ફુગ્ગો ફૂટી ન જાય તે પહેલા વધુ રૂપિયા રોકાણકારો પાસે ઉઘરાવવા જોરશોરમાં હલચલ ચાલી રહી છે.હવે 20 રૂપિયા ડોલરે પણ આ લેબગ્રોન ડાયમંડ કિંગ હીરા વેચવા તૈયાર થઇ ગયા હોવાના સમાચાર હીરાબજારમાં ચાલી રહ્યા છે.હીરા ઉધોગના જાણકારોના મતે છેલ્લા વીસેક દિવસમાં રોકાણકરોએ દબાણ વધારતા જેમના 20 કરોડ કે કોઈકના 15 કરોડ છે એવા કેટલાંક રોકાણકારોને કરોડ બે કરોડ રૂપિયા ડાયમંડ કિંગ ચૂકવી રહયો છે.સૌથી વિશેષ બાબત એ છે કે, જે વ્યક્તિઓને હીરા ઉદ્યોગનો અનુભવ ન હતો તેવા ડોક્ટરો,વકિલો,સીએ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોએ પણ લેબગ્રોન મશીનોમાં રોકાણ કર્યું છે તેવા તમામ આ લેબગ્રોન કંપનીમાં ફસાયા છે.
આ કંપનીએ આ સિસ્ટમથી જ લેબગ્રોન ડાયમંડના મશીનો દોઢ-દોઢ કરોડમાં વેચ્યા હતાં.બે વર્ષ વર્ષ પહેલા શરુ થનાર આ કંપનીએ લેબગ્રોન અદ્રશ્ય (કોઈ જોઈ ન શકે તેવા ) મશીનો વેચ્યાં હતા અને તેમાં કંપનીએ અંદાજિત 2500 ઉઘરાવ્યા હતા જે કાચી પડી હોવાની વાત માર્કેટમાં ફેલાઈ છે.પંરતુ જાણકારો માને છે કે આ પ્રિ-પ્લાન ઉઠમણાંના ભાગરૂપે જ કંપની શરુ કરાઈ હતી જેમાં મોટી ઓફિસો ખોલી કરોડો રૂપિયાનો દેખાડો કરવામાં આવ્યો હતો જેના કારણે રોકાણકારોને આકર્ષિત કરી આખા ખેલને અંજામ આપવામાં આવ્યો છે.હાલ આ મામલો ચોગડોળે ચડતા થાળે પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે.ચર્ચા મુજબ લેબગ્રોન ડાયમંડ કિંગના ઉથામણો આંક 2500 કરોડ રૂપિયા જેટલો માતબર છે અને કોઈ જ મશીનો હતા નહીં પરંતુ દેખાડવા માટે આંગળી વેઢે ગણી શકાય એટલા મશીનો કે જેનું ઇઝરાયેલ સ્થિત સરિન ટેક્નોલીજીસના ડુપ્લિકેશન સ્વરૂપે તૈયાર કરી રોકાણકારો પાસે કરોડો રૂપિયા ઉસેટી લેવામાં આવ્યા છે.
ચર્ચા પ્રમાણે, લેબગ્રોન-સીવીડી ડાયમંડ ક્ષેત્રે મોટું નામ ધરાવતી કંપની હીરાઉદ્યોગના વેપારીઓ પાસે લેબગ્રોન-સીવીડી મશીન માટે રોકાણ કરાવતી હતી.મશીનમાં રોકાણ બાદ પોલીશ્ડ સીવીડી-લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને ડાયમંડ વેપારીને વેચાણ અર્થે માર્કેટમાં આપવામાં આવતા હતા.છેલ્લાં થોડા સમયથી ડાયમંડ ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ ચાલી રહ્યું છે.ત્યારે લેબગ્રોન હીરાના ભાવમાં પણ ઘટાડો થયો છે.જેથી આ કંપની 20 ડોલરના ભાવે લેબગ્રોન ડાયમંડ વેંચવા કાઢ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.300 ડોલરના ભાવનો લેબગ્રોન ડાયમંડ હવે 20 ડોલર પર વેચાણ કરવાનો આશય શું હોય શકે ? જાણકારો કહી રહ્યા છે કે આ કંપનીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરનાર રોકાણકારો ઓફિસ પર જઈને રૂપિયાની ઉઘરાણી કરવા ધસારો કરી રહ્યા છે અને ધમાલ પણ મચાવી રહ્યા છે.તેમજ આવનારા દિવસોમાં પોલીસ ફરિયાદો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે,ત્યારે આ કથિત લેબગ્રોન ડાયમંડ કિંગનો આખો ખેલ ઉઘાડો પડી ન જાય તે માટે હવે 20 ડોલરે લેબગ્રોન વેચવાના અને રોકાણકારોને થોડા થોડા રૂપિયા ચૂકવી ટાઈમ બાઇંગ ગેમ રમી રહયો છે.આ લેબગ્રોન ડાયમંડ કંપનીનો લેન્ડફોલ નિશ્ચિત હોવાનું પણ હીરાબજારમાં ચર્ચાઈ રહ્યું છે,ત્યારે હવે 15 કરોડ રૂપિયા રોકાણ કરો અને એ વર્ષ બાદ 45 કરોડ લઇ જવાની સ્કીમ પણ લોન્ચ કરવામાં આવી છે.
ઉપરના તમામ સમીકરણો અને અટકળો જોતા સ્પષ્ટપણે ફલિત થઇ રહ્યું છે કે કો-ઓપરેટીવ બેંકે 600 કરોડની લોનમાં 300 કરોડ રૂપિયા ત્વરિત જમા કરાવવા અલ્ટીમેટમ આપ્યું છે જેથી બેંક કોઈ લીગલ પ્રોસિડિંગ કરે અને કંપનીના બેંક એકાઉન્ટ્સ એનપીએ કરે અથવા ફ્રીઝ કરે તો આ કહેવાતા કથિત લેબગ્રોન ડાયમંડ કિંગ દિવાળી પહેલા જ બજારમાંથી ઉઠી જવા મજબુર થઇ શકે.વધુમાં રોકાણકારો ઓહાપોહ કરે અને ફુગ્ગો નિર્ધારિત સમય પહેલા ફૂટી જાય તો ઉઠમણાંનો જે તખ્તો ગોઠવ્યો છે તે આખો ખેલ ઊંધો પડી જાય,જેથી કરીને પ્રતિદિન આ કંપની નવી નવી સ્કીમો લોન્ચ કરી બચવાના પ્રયાસ કરી રહી છે.પંરતુ હવે આ ખેલ દિવાળી સુધી ચાલે એવી શક્યતા નહીંવત હોવાના અંદેશા દેખાઈ રહ્યા છે અને ખુદ રોકાણકારો અનુભવી પણ રહ્યાં છે ત્યારે જોવાનું એ પણ રહ્યું કે આ નવીનતમ સ્કીમોમાં વધુ નવા રોકાણકારો ફસાઈ છે કે પછી બહુ જલ્દી પેઢી કાચી પડી હોવાની બુમરાણ મચી છે તે પોકળ સાબિત થશે અને આવનારા દિવસોમાં હીરાબજારનું સૌથી મોટું ઉઠમણું નવો ઇતિહાસ રચી નાંખે તેવી સંપૂર્ણ શક્યતા દેખાઈ રહી છે.વિજય માલ્યા,નિરવ મોદી બાદ હવે સુરતના આ લેબગ્રોન ડાયમંડ કિંગ બીજા નિરવ મોદી બની જાય એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી એમ કહી કહી શકાય.હાલની ચર્ચા અને પરિસ્થિતિ જોતા હાલનો ગરમાટો જોતા હીરાબજારમાં આગ ગમે ત્યારે ગમે તે ઘડી એ લાગી શકે એવી શક્યતા છે.
લેબગ્રોન ડાયમંડ કંપનીના CEO એ રોકાણ કરવાના નામે ડોકટરોને ભેરવ્યા ?
લેબગ્રોન ડાયમંડ કંપનીમાં કાર્યરત સી.ઈ.ઓ કે જે પોતે પણ ડોક્ટર છે અને હીરાબજારમાં ચાલતી ચર્ચા મુજબ કતારગામ,વરાછા વિસ્તારના મોટાભાગના ડોક્ટરોએ પણ આ એક્સઝીકયુટીવના કહેવા પર જ લેબગ્રોન ડાયમંડ મશીનરીનઝ અને ડાયમંડ ઉત્પાદન કંપનીમાં રોકાણ કર્યું હતું.કથિત લેબગ્રોન ડાયમંડ કિંગના કારનામા અંગે શું આ CEO અજાણ હતા ? કંપની પોલિસી મુજબ CEO મોટાભાગના નિર્ણયો લેતા હોય છે જે અતિ -મહત્વના હોય છે.તેમજ કંપનીની સ્ટ્રેન્થ અંગે પણ તેઓ પૂરતા સભાન હોય છે અને તેના આધારે પોલિસી ઇમ્પ્લાન્ટ કરે છે અને કંપનીને મજબુતાઈ પ્રદાન કરતા હોય છે પરંતુ આ કિસ્સામાં ચર્ચા છે કે સીઈઓ પણ આ આખા ખેલ વિષે સંપૂર્ણપણે માહિતગાર હતા અને તેમને પણ મોટો આર્થિક ફાયદો જોઈતો હતો જેથી તેમને પોતાના PR ( પબ્લિક રિલેશન )નો ભરપૂર ગેરલાભ ઉઠાવી કોરોનાકાળ દરમ્યાન કરોડો રૂપિયા કમાયેલા સૌરાષ્ટ્રવાસી ડોક્ટરોને લેબગ્રોન ડાયમંડ મશીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિશ્વાસમાં લીધા હતા અને કંપનીમાં રોકાણ કરાવ્યું હતું.હવે જયારે કંપની તેના આર્થિક સંકટના દિવસો ગણી રહી છે ત્યારે ફસાયેલા રોકાણકારો દોષનો ટોપલો કંપનીના આ CEO પર પણ નાંખી રહ્યાં છે.ઉઠમણાંના પ્રકરણમાં જેટલા જવાબદાર કથિત ડાયમંડ કિંગ છે એટલા આ મહાશય પણ હોવાનું જાણવા મળ્યું છે.કંપનીના CEO અગાઉ ઘણી નામાંકિત મેડિકલ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા અને શા માટે એમને એકાએક આ ડાયમંડ કંપનીમાં ઝંપલાવ્યું જેનો પોર્ટફોલિયો બજારમાં શરુઆથી જ ચર્ચાસ્પદ રહ્યો છે ત્યારે આ સી.ઈ.ઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે.