મુંબઈ, તા. 05 મે 2022, ગુરૂવાર : ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે.બુધવારે રમાયેલી મેચમાં બેંગલુરૂએ ચેન્નાઈને 13 રને હરાવ્યું હતું.મેચ બાદ જ્યારે MS ધોનીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે બોલરોના વખાણ કર્યા અને કહ્યું હતુ કે, અમે તેમને 173 રન સુધી રોકીને સારૂં પ્રદર્શન કર્યું હતુ પરંતુ બેટિંગે અમને નિરાશ કર્યા હતા.MS ધોનીએ કહ્યું હતું કે, જ્યારે તમે કોઈપણ લક્ષ્યનો પીછો કરો છો ત્યારે તમે જાણો છો કે વસ્તુઓને કેવી રીતે આગળ લેવી જોઈએ.આવી સ્થિતિમાં તમારે પોતાના શોટ્સ પરિસ્થિતિની માંગ અનુસાર રમવા જોઈએ.છેલ્લા આવતા શોટની પસંદગી વધુ સારી રીતે થઈ શકી હોત.અમે શરૂઆતમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને અમારી પાસે વિકેટો પણ હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ કહ્યું હતુ કે, ‘જ્યારે તમે પહેલા બેટિંગ કરો છો, ત્યારે તમે તમારા અનુસાર બેટિંગ કરો છો પરંતુ પીછો કરતી વખતે વસ્તુઓની ગણતરી કરવી પડશે. અહીં અમે ભૂલ કરી છે.પોઈન્ટ ટેબલને લઈને MS ધોનીએ કહ્યું હતુ કે, તમે કયા નંબર પર છો, તમારા કેટલા પોઈન્ટ્સ છે, આ બાબતો તમારું ધ્યાન ભટકાવી શકે છે પરંતુ તમારે પોતાની પ્રોસેસ પર ધ્યાન રાખીને કામ કરવું પડશે.જો તમારી રમવાની પ્રોસેસ બરાબર રહેશે તો બાકીની વસ્તુઓ આપોઆપ ઠીક થતી રહેશે.તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યારે પોઈન્ટ ટેબલમાં નવમા નંબર પર છે.ચેન્નાઈએ 10માંથી 3 મેચ જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે.અત્યાર સુધી ટીમના 6 પોઈન્ટ છે અને 4 મેચ બાકી છે.આવી સ્થિતિમાં જો ચેન્નાઈ તેની બાકીની તમામ મેચ જીતી લે તો પણ તેના 14 પોઈન્ટ રહેશે.આવી સ્થિતિમાં ચેન્નાઈ માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે