અમદાવાદ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : અમદાવાદની સાબરમતી નદીમાં શનિવારથી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા એક કેસના મહત્વના પુરાવા તરીકેના બે મોબાઈલ ફોનની શોધખોળ કરવામાં આવી રહી છે.વર્ષ 2022નો આ કેસ છે અને હવે જ્યારે સીબીઆઈને અમદાવાદની સાબરમતી નદીમાં આ કેસને જોડતા ફોન્સ ફેંકવામાં આવ્યા હોવાની ખબર પડી છે ત્યારે રિવર ફ્રન્ટમાં અમદાવાદના ફાયર ડિપાર્ટમેન્ટના તરવૈયાઓ અને ટેક્નોલોજીના અધ્યતન સાધનો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.
છટકું ગોઠવ્યું પણ અધિકારી ભાગી જવામાં સફળ
અમદાવાદમાં એક આઈટી અઘિકારીની 30 લાખ રૂપિયાની લાંચના કેસમાં વર્ષ 2022માં નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે.આ કેસમાં સીબીઆઈના કહ્યા પ્રમાણે એસીબી (લાંચ રુશવત વિરોધી બ્યૂરો)એ ગત 4 ઓક્ટોબરે એક સિનિયર આઈટી અધિકારી સામે છટકું ગોઠવ્યું હતું.બિલ્ડર પાસેથી લાંચ લેવાના કેસમાં એસીબીએ કાર્યવાહી કરી હતી પણ તે અધિકારી ભાગી જવામાં સફળ થયો હતો.તેણે બાદમાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન પણ મેળવ્યા હતા.સીબીઆઈએ કોર્ટમાં જામીનને પડકાર્યા હતા.આખરે સોમવારે તેના આગોતરા જામીન રદ્દ થયા અને શુક્રવાર સુધી તેને કેન્દ્રીય તપાસ એજન્સી સામે આત્મસમર્પણ કરવાનો આદેશ થયો હતો.
જેને ફોન આપ્યા તેણે નદીમાં ફેંકી દીધા
આ આઈટી અધિકારી અંગે સીબીઆઈનું કહેવું છે કે તેની સાંઠગાંઠ અન્ય ગૌણ અધિકારી જોડે પણ હતી.તેણે નાણાંના વ્યવહારો પણ કર્યા હતા. 2022માં એસીબીની ટીમ છટકું ગોઠવતી હતી ત્યારે સીસીટીવીની તપાસ કરી હતી.આ ગૌણ અધિકારીને રોકવાનો આદેશ પણ આપ્યો હતો.જોકે તે ભાગી જાય તે પહેલા તેણે પોતાના એક જુનિયર આઈટી ઓફિસરને પોતાના બંને ફોન આપી દીધા હતા.ગત 12 ઓક્ટોબરે આઈટી અધિકારી સામે સીબીઆઈએ ફરિયાદ નોંધી હતી અને તપાસની કાર્યવાહી શરૂ કરી ત્યાં જાણવા મળ્યું કે, તેના તાબાના અધિકારીએ તે બંને ફોન અમદાવાદની સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા.
આખરે બંને મોબાઈલ મેળવ્યા
સીબીઆઈએ આ જુનિયર અધિકારીને તેના ઘરેથી ગત શનિવારે પકડી પાડ્યો અને તેને લઈને સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભ સદન પાસેના તેણે કહેલા લોકેશન પર લઈ ગઈ હતી.ત્યાં દિલ્હીની સીબીઆઈ ટીમે અમદાવાદ ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની મદદ લીધી હતી.સાથે કેટલીક ટેક્નોલોજીની મદદ પણ લીધી હતી અને સાબરમતી નદીમાં શોધખોળ ચાલુ કરી હતી.ઉલ્લેખનીય છે કે નદીમાં તે પછીના વહેણથી લઈને ઘણા ચેલેન્જીસ હતા.છતાં રીતસર ખણખોદ કરીને મહામહેનતે આખરે બંને મોબાઈલ મેળવી લીધા છે.